જામનગર સપ્તાહમાં મહેમાન તરીકે પધારેલા રિવાબાએ આ વખતે વિધાનસભા ચૂંટણી લડવા અંગે આપી દીધું મોટું નિવેદન
જામનગરમાં હકુભા જાડેજા દ્વારા આયોજીત ભાગવત સપ્તાહનો આજે અંતિમ દિવસ છે, ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના મહિલા નેતા રિવાબા જાડેજા સપ્તાહમાં સામેલ થયાં હતા. રિવાબાના સપ્તાહમાં આવવાથી રાજકીય ઈનિંગ શરૂ થવાની ચર્ચાઓ તેજ બની છે. રિવાબા ઉપરાંત 7 દિવસમાં મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ ઉપરાંત ભાજપ, NCP અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓના અનેક રાજકારણીઓ સપ્તાહમાં સામેલ થઇ ચુક્યા છે.
જામનગરમાં હકુભા જાડેજા દ્વારા આયોજીત ભાગવત કથાના અંતિમ દિવસે રિવાબા જાડેજાએ ચૂંટણી લડવાને લઇ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપતાં જણાવ્યું કે, જો પાર્ટી જવાબદારી આપશે, તો સારી રીતે નિભાવીશ. હું મહિલા ઉત્થાન માટે કાર્ય કરૂં છું. જેથી પાર્ટી દ્વારા જવાબદારી મળવાથી સારી રીતે નિભાવીશ. રિવાબા આજે સવારે ભાગવત કથામાં આવ્યાં, ત્યારે જ રાજકીય ચર્ચાઓ તેજ બની હતી.
જામનગરમાં હકુભા જાડેજા આયોજિત ભાગવત સપ્તાહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા. જેમાં કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર, અર્જુનસિંહ ચૌહાણ, રાઘવજી પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડિયા, વિક્રમ માડમ, સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિપક્ષ ઉપનેતા શૈલેશ પરમાર, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ખોડલધામ ચેરમેન નરેશ પટેલ, ભાજપ નેતા વરુણ પટેલ, ભાજપ નેતા અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય કાંધલ જાડેજા, ભાજપના નેતા ભીખુભાઇ દલસાણિયા, પુર્વ મુખ્યમંત્રી શંકરસિહ વાઘેલા સહિતના અનેક ભાજપ, કોંગ્રેસ અને રાજકીય પાર્ટીઓના નેતાઓ જામનગર સપ્તાહમાં હાજરી આપી ચૂક્યા છે.