શું તમને વારંવાર શરદી થઇ જાય છે? તો આ સમસ્યામાં જેવી બીજી અનેક તકલીફોમાંથી છૂટકારો મેળવવા ઘરે કરો આ યોગ
તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે આ એક યોગાસન તો કરવું જ જોઈએ – શરદી-વહેતાં નાક ઉપરાંતની સમસ્યા દૂર કરે છે પ્રાણાયામ
શું તમે જાણો છો કે ખાવા પીવાની ખાસ વસ્તુઓ ઉપરાંત યોગાસનની મદદથી પણ તમે શરદી તેમજ વહેતા નાક વિગેરેની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો ? આજે અમે તમને તેવા યોગાસનો વિષે જણાવવાના છે જે તમને શરદી તેમજ શરદીના કારણે થતી સમસ્યાઓથી દૂર રાખે છે.
આમ જોવા જઈએ તો શરદી તેમજ તેની સાથે જોડાયેલી સમસ્યા જેમ કે વહેતું નાક ઉધરસ તે એક સામાન્ય શારીરિક સમસ્યા છે. જે સામાન્ય રીતે અઠવાડિયામાં તેની જાતે જ ઠીક થઈ જાય છે, પણ ઘણીવાર જો સાવચેતી ન રાખવામાં આવી હોય તો તેના કારણે તે ફ્લુ, બ્રોંકાઇટિસ, બ્રોંકોનિમોનિયા વિગેરેનું રૂપ પણ ધારણ કરી શકે છે.
શરદી તેમજ તેની સાથે જોડાયેલી વિવિધ સમસ્યા ઉભી થવા પાછળ વાયરલ ઇન્ફેક્શન, ઋતુનું બદલાવું, ઠંડી હવા લાગવી, અયોગ્ય ખોરાક ખાવો, વ્યાયામ ન કરવો, માંસપેશિઓ સુસ્ત પડી જવી, કબજિયાતની સમસ્યા રહેવી વિગેરે છે. પણ જો તમે યોગનો નિયમિત અભ્યાસ કરશો તો આ સમસ્યાથી દૂર રહી શકો છો અને જો આવી કોઈ સમસ્યા ઉદ્ભવી હોય તો તેનાથી છૂટકારો પણ મેળવી શકો છો.
યોગ શરીર અને મન બન્નેને સંતુલિત અને એક્ટિવ રાખે છે. તેનો નિયમિત અભ્યાસ કરવાથી તમારી રોગપ્રતિકારક ક્ષમતા વધી જાય છે, જેના કારણે આવા લોકોને શરદીની સમસ્યા ઘણી ઓછી થાય છે. જે લોકોને શરદીની સમસ્યા હોય તેઓ કેટલીક સાવચેતી રાખીને અને તેમની તબિયત સુધર્યા બાદ યોગનો અભ્યાસ કરી શકે છે.
આવા સંજોગોમાં યોગનો અભ્યાસ ન કરવો જોઈએ
શરદી તેમજ તેની સાથે જોડાયેલી સમસ્યાઓ તેમજ વાયરલ ઇન્ફેક્શન વિગેરેની સ્થિતિમાં યોગનો અભ્યાસ ન કરવો જોઈએ. આવા સમયે તમારા માટે ઉપવાસ યોગ્ય રહે છે. અથવા તો તમે તમારા ખોરાક પર અંકુશ પણ લાવી શકો છો જેથી કરીને સમસ્યા વધારે ખરાબ થતી અટકાવી શકાય.
જેવું જ તમને એવું લાગે કે તમને ફ્લૂ થયો છે તો તમારે આખા દિવસનું અથવા તો દિવસના એક સમયનું ભોજન ન કરવું જોઈએ. આમ કરવાથી તમારા રોગની તીવ્રતા અરધી થઈ જશે. તેની સાથે સાથે તમારે દિવસ દરમિયાન હુંફાળા પાણીનું સેવન કરવુ જોઈએ. આદુ, મરી, તજ તેમજ મેથીની ચા નિયમિત અંતરે પીવી જોઈએ અને આરામ કરવો જોઈએ. જો તમને તાવ ન આવતો હોય તો તમે નેતિનો પ્રયોગ પણ કરી શકો છો તેનાથી રોગ જલદી ઠીક થઈ જાય છે.
માત્ર એક દિવસના ઉપવાસ, સંપૂર્ણ આરામ તેમજ યોગનિદ્રાના અભ્યાસથી તમે શરદી તેમજ ફ્લૂની અસરને દૂર કરી શકો છો. સ્વસ્થ થયા બાદ જો યોગાભ્યાસ કરવામાં આવે તો બીમારી બાદની નબળાઈ તેમ જ પીડા દૂર કરી શકાય છે, અને સાથે સાથે તમે ભવિષ્યમાં પણ આ પ્રકારના રોગોને ટાળી શકો છો.
આ યોગાસનનો નિયમિત અભ્યાસ કરો
શરદી ઠીક થયા બાદ શરૂઆતમા તમારે હળવા આસન જેમ કે પવનમુક્તાસન, વજ્રાસન, શશાંકાસન, મેરુવક્રાસન, ભુજંગાસન, ધનુરાસન વિગેરેનો જ અભ્યાસ તમારી ક્ષમતાને ધ્યાનમા રાખીને કરવો જોઈએ. જો તમને થાક લાગતો હોય તો તેને થોડા સમય માટે જ કરવો. ધીમે ધીમે તમારા શરીરની ક્ષમતામાં વધારો થતો જાય તેમ તેમ તમારે યોગમાં જાનુશિરાસન, સુપ્ત વજ્રાસન, તાડાસન, અર્ધમત્ય્સેન્દ્રાસન, ત્રિકોણાસન વિગેરે પણ શરૂ કરવા જોઈએ. જો સૂર્ય નમસ્કારનો નિયમિત અભ્યાસ કરતા હોવ તો શરદી-ઉધરસ વિગેરેની સાથે સાથે અન્ય રોગોની શક્યતાઓ પણ ઘટી જાય છે.
પ્રાણાયામ છે ઉત્તમ
શરદી, ઉધરસ, તાવ (વાયરલ)ના ઠીક થવા પર સરળ કપાલભાતિ તેમજ નાડીશોધન પ્રાણાયામનો અભ્યાસ કરવાથી નબળાઈ ઘટે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે, આ ઉપરાંત તમારો મૂડ પણ સુધરે છે. નિયમિત પ્રાણાયામ કરવાથી બંધ નાક અને કફથી થતી સમસ્યાઓ પણ દૂર થાય છે. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જો તમે યોગાસન નવું નવું શીખી રહ્યા હોવ તો કોઈ નિષ્ણાતની દેખ-રેખમાં કરો.
નાડીશોધન પ્રાણાયામ કરવાની રીત
આ આસન કરતી વખતે તમે સિદ્ધાસન, પદ્મામાસન અથવા સુખાસનમાં તમારી કરોડ રજ્જુ, ગળુ તેમજ માથું ટટ્ટાર કરીને બેસો. જમણી નાસિકા બંધ કરી ડાબી નાસિકાથી ઉંડો, ધીમો તેમજ લાંબો શ્વાસ લો. ત્યાર બાદ ડાબી નાસિકાને બંધ કરી જમણી નાસિકાથી લાંબો, ધીમો તેમજ ઉંડો શ્વાસ બહાર કાઢો. તેની તરત જ બાદ તે જ નાસિકાથી શ્વાસ લઈ ડાબી નાસિકાથી શ્વાસ લો. આ નાડીશોધન પ્રાણાયામનો એક રાઉન્ડ છે. શરૂઆતમાં તમે આવા 10 રાઉન્ડ કરી શકો છો. ધીમે ધીમે તમે તેની સંખ્યા વધારી શકો છો.
નોંધઃ આ આર્ટિકલમાં કહેલ દરેક વાત વ્યક્તિની તાસીર પર આધાર રાખે છે. દરેક વ્યક્તિ પર આયુર્વેદિક, નેચરલ કે અન્ય દવાઓ તથા નુસખાઓની અસર જુદી જુદી હોય છે.