વંદાને ઘરમાંથી દૂર ભગાવવા માટે આ ઘરેલું નુસખા છે ખુબ જ અસરકારક, વાંચો આ લેખ અને જાણો…
ઘરમાં બિમારીઓ ફેલાવવામાં વંદા સૌથી મોટું કારણ બનતા હોય છે. કંટ્રોલ પેસ્ટથી લઈને વિવિધ દવાઓ અને ઉપાયો કરવા છતાં થોડા સમયમાં વંદા પાછા આવી જ જતા હોય છે. રસોડામાં વંદો જોવો કોઈને નથી ગમતો. તે ખૂબ જ ગંદા હોય છે. જ્યારે ગરમી વધે ત્યારે આવા જંતુઓ અંદર આવે છે અને તેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ થઈ જાય છે પરંતુ, અહીં આ વંદાઓથી છુટકારો મેળવવા માટે કેટલાક કુદરતી ઉપાય જણાવ્યા છે. જે તમને મદદરૂપ સાબિત થઈ શકે છે.
ખાવાનો સોડા અને ખાંડ :
વંદાને જાળમાં ફસાવવાનો આ એક આસાન ઉપાય છે. એક વાડકીમાં ખાવાના સોડા અને ખાંડને મિક્સ કરો અને તેમને વંદા આવતા હોય તેવી જગ્યાએ છાંટો. હવે, તમારે ફક્ત વંદાની રાહ જોવાની છે, કારણ કે, ખાંડ ખાવા માટે વંદા આકર્ષિત થશે અને ખાવાનો સોડા તેમને મારવાનું કામ કરશે.
તમાલપત્ર :
તમાલપત્ર ની ગંધ થી વંદા દૂર ભાગે છે. ઘરે જે ખૂણામાં વંદા હોય ત્યાં કેટલાક તમાલપત્ર મસળીને નાખી દો. વંદા તે જગ્યાએ થી જતા રહેશે. ઉલ્લેખનીય છે કે, તમાલપત્રને હાથમાં મસળવાથી તેલ દેખાશે, જેની ગંધથી વંદા દૂર ભાગે છે. જોકે, સમયાંતરે તમારે પત્તાં બદલતા રહેવું.
ઓઇલ :
તમે વિચારતા હશો કે બ્યુટી ઓઇલ વંદા કેવી રીતે ઘટાડી શકે ? પરંતુ, વંદા કોઈ તીવ્ર ગંધ સહન કરી શકતા નથી. તેથી, તેમને ભગાડવા અથવા તેમને મારી નાંખવા માટે રસોડામાં સિંક અને કેબિનેટમાં લવંડર, પીપરમિન્ટ અથવા કોઈપણ તીવ્ર સુગંધિત તેલ નો એક ડ્રોપ મૂકો. તેને સમગ્ર રસોડામાં સુગંધિત થવા દો. તેમજ કેરોસીનથી પણ વંદા ભાગે છે.
લીંબુ :
લીંબુ માત્ર એક શક્તિશાળી ક્લીનર નથી, પરંતુ તે વંદાને પણ ભગાડી શકે છે. રોગકારક ગુણધર્મોને કારણે જંતુઓ તેનાથી દૂર રહે છે. તમારે ફક્ત સ્પ્રેવાળી બોટલમાં લીંબુ નિચોવવાની જરૂર છે અને તેને દરેક ખૂણામાં સ્પ્રે કરો. તમે લીંબુની છાલને પીસીને જમીન પર મૂકી શકો છો.
કાકડી :
બિલાડી, કુતરા, વંદો અને કીડીઓ કાકડી ની ગંધ સહન કરી શકતા નથી. જો તમે કીડીઓ અને વંદા ને ભગાડવા ઈચ્છતા હોવ, તો કાકડી ને નાના ટુકડાઓમાં કાપીને દરેક ખૂણામાં મૂકી દો.
પાણી અને વિનેગર :
આ વંદા ભગાડવાની સૌથી સરળ રીત છે. પાણીમાં વિનેગર ભેળવીને તમે સરળતાથી વંદાથી છુટકારો મેળવી શકો છો. આ માટે થોડું ગરમ પાણી લો, તેમાં સફેદ સરકાનો એક ભાગ ઉમેરો અને બંનેને સારી રીતે મિક્સ કરો. હવે તેનાથી તમારા રસોડાનો સ્લેબ, કેબિનેટ વગેરે સાફ કરો અને કુક ટોપ પણ સાફ કરો. તેને રસોડાના સિંક, પાઈપોમાં રાત્રે મૂકો. જેનાથી તે જંતુમુક્ત થશે અને વંદો તમારા રસોડાથી દૂર રહેશે.