આજકાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે ગરમીના કારણે પરસેવાનું પ્રમાણ વધી રહ્યું છે. આ સમયે હેર ફોલ એક સામાન્ય સમસ્યા બની રહી છે. આ સિવાય પણ ખોટી ખાનપાનની આદત, ખરાબ લાઈફ સ્ટાઈલ પણ તેના માટેનું મુખ્ય કારણ માનવામાં આવે છે. અનેક વાર બીમારી અને દવાઓ પણ હેર ફોલનું કારણ બને છે. પરંતુ ક્યારેક ફેશન અને લાઈફસ્ટાઈલના ચક્કરમાં આપણે એવી ભૂલો કરી લઈએ છીએ જેની કિંમત વાળને ચૂકવવી પડતી હોય છે. તો જાણો કઈ એ 6 ખોટી આદતો છે જે તમારા હેર ફોલનું કારણ બને છે અને સમસ્યાઓ સર્જે છે.
પહેલાના સમયમાં માણસની પાસે જ્યારે વધારે સંસાધન ન હતા તો સામાન્ય ઘરેલૂ ઉપાયોની મદદથી વાળ અને સ્કીનની કેર કરવામાં આવતી હતી. આ સમયે લોકોના વાળ પણ આજ કરતાં અનેક ગણી સારી ક્વોલિટીના હતા. લાંબા સમય સુધી કાળા અને મજબૂત રહેતા હતા. આ સાથે જ ઘરેલૂ ઉપાયોની મદદના કારણે તેનો ગ્રોથ પણ કમાલનો રહેતો. પરંતુ આજકાલ સિરમ, સ્પ્રે જેવી કેમિકલ વાળી ચીજો બજારમાં આવી છે. લોકો નાની ઉંમરથી તેનો પ્રયોગ કરતા અને તેના કારણે સાઈડ ઈફેક્ટના કારણે હેર ફોલ અને વાળનું અકારણ સફેદ થવાની સમસ્યા પણ આવી રહી હતી.
એક વાત યાદ રાખી લો કે તમે વાળને જેટલા નેચરલ રાખશો તેટલા તે સારા રહેશે. પરંતુ આજકાલ યુવતીઓ સ્ટાઈલિશ દેખાવવા માટે વાળ સાથે અનેક પ્રયોગ કરતી રહે છે. વાળની સ્મૂધનિંગ, સ્ટ્રેટનિંગ, કૈરાટિન ટ્રીટમેન્ટ વગેરે. આ બધુ કરાવવામાં અનેક ગણા રૂપિયા ખર્ચ થાય છે. વાળમાં હેવી કેમિકલ્સનો પણ પ્રયોગ કરાય છે. જેના કારણે વાળ થોડા સમય સુધી સારા રહે છે અને પછી ધીરે ધીરે બેજાન બને છે અને તૂટવા લાગે છે.
આ સિવાય જો તમે વાળને વારેઘડી કર્લ કરવાની કે તેનું સ્ટ્રેટનિંગ કરાવવાની આદત રાખો છો તો તેનાથી પણ તમારા વાળ ખરાબ થાય છે. તેનાથી વાળને વધારે હીટ મળે છે. જેનાથી તમારા વાળને નુકસાન થાય છે. તેનો ભેજ અને સિલ્કી પણું ખતમ થઈ જાય છે. તેના કારણે વાળ બરછટ દેખાવવા લાગે છે. આ પછી જ્યારે પણ તમે વાળ ઓળો છો કે વાળમાં હાથ ફેરવો છો તો તે તૂટવા પણ લાગે છે.
આ સિવાય અન્ય એક ભૂલ આપણે સૌ અજાણતા કરીએ છીએ અને સ્ટાઈલને સ્ટેટસ સિમ્બોલ બનાવીએ છીએ જેના કારણે તમારા વાળને નુકસાન થાય છે. કેટલાક લોકો ફેશનના કારણે વાળને હાઈલાઈટ કરાવવાની ફેશન પણ અનુસરી રહ્યા છે. આ માટે જે કલર વાપરવામાં આવે છે તેમાં કેમિકલ્સ હોય છે, જે વાળને ખરાબ કરે છે અને સાથે તેને જલ્દી સફેદ કરી લે છે. કલરના વધારે ઉપયોગથી વાળ તૂટવાનું પણ શરૂ થાય છે.
અનેકવાર તમે જોયું હશે કે ફેશનના ચક્કરમાં લોકો વાળમાં તેલ પણ નાંખતા નથી. જેમ તમને પેટ ભરવા માટે ભોજનની જરૂર પડે છે તેમ વાળને પણ સમયાંતરે તેલ આપવું જરૂરી રહે છે. આમ કરવાથી તમારા વાળને પોષણ મળે છે. જ્યારે તમે વાળમાં લાંબા સમય સુધી કે ક્યારેય પણ તેલ નાંખતા નથી તો તમારા વાળ થોડા સમય બાજ બેજાન બને છે, તેનું શાઈનિંગ ખોવાઈ જાય છે અને તે ઝડપથી તૂટવા લાગે છે.
અનેક લોકો વાળ સફેદ થાય ત્યારે તેની પર મહેંદી લગાવે છે. આમ તો મહેંદીને નેચરલ વસ્તુ માનવામાં આવે છે. તેને જો તમે 1-2 કલાક લગાવીને રાખો તો તે વાળને ફાયદો આપે છે. પણ અનેક લોકો તો 24 કલાક સુધી તેને લગાવીને રાખે છે. આ સમયે તે તમારા વાળને ફાયદો નહીં પણ નુકસાન કરે છે. લાંબા સમય સુધી વાળમાં મહેંદી રાખવાથી વાળ શુષ્ક બને છે અને તૂટવા લાગે છે. આ સિવાય તમે વાળમાં દહીં લગાવીને તેમાં ભેજ કાયમ રાખી શકો છો. જો તમે મહેંદીને લગાવ્યા બાદ વાળમાં તેલ નહીં નાંખો તો વાળ સૂકા હોવાના કારણે તૂટવા લાગશે.