આ તો ઉલ્ટી ગંગા વહી, હવે હડતાળ પર ઉતરેલા અમદાવાદ સિવિલના તબીબોને ભીંસ પડી, 24 કલાકમાં જ હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના હડતાળિયા તબીબોને નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા નોટિસ અપાઈ છે. 900 જેટલા સિનિયર-જુનિયર તબીબોને હોસ્ટેલ ખાલી કરવા નોટિસ અપાઇ છે. હડતાળ પર ઉતરેલા તબીબોના કારણે 50% સર્જરીઓ રદ થઈ છે. તબીબોની છેલ્લાં કેટલાંક દિવસોની હડતાળના કારણે તંત્ર દ્વારા લાલ આંખ કરાઇ છે. 1 વર્ષના બોન્ડને સિનિયર રેસિડેન્સ તરીકે ગણવા તબીબો સતત માંગ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંદાજિત 1100 જેટલા તબીબો હડતાળ પર ઉતર્યા છે. જો કે બીજી બાજુ રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરતા દર્દીઓ હેરાન-પરેશાન થઈ રહ્યાં છે. સરકાર અને તબીબોની લડાઈમાં દર્દીઓનો મરો છે. કારણ કે એક તરફ સરકાર માંગણીઓ સ્વીકારવા તૈયાર નથી તો બીજી બાજુ તબીબો પણ પોતાની હડતાળ સમેટવા તૈયાર નથી.
મહત્વનું છે કે, તાજેતરમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં 6 દિવસથી હડતાળ પર ઉતરેલા જુનિયર અને ઈન્ટર્ન ડૉક્ટર વિરૂદ્ધ તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગના અધિક નિયામકે મેડિકલ કૉલેજના ડીનને કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. તેઓએ હડતાળ પર રહેલા તબીબો અને ઈન્ટર્ન ડૉક્ટર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે તમામ હડતાળ કરતા તબીબોને તાત્કાલિક અસરથી હોસ્ટેલ ખાલી કરવાનો પણ આદેશ કર્યો હતો.
તમને જણાવી દઇએ કે, રાજ્યમાં રેસિડેન્ટ તબીબો બોન્ડની માંગને લઇને હડતાળ પર ઉતર્યા છે. ત્યારે તાજેતરમાં જ બોન્ડ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ પાટણમાં નિવેદન આપતા જણાવ્યું કે, ‘જુનિયર તબીબોની માંગણી અયોગ્ય છે. સરકાર જુનિયર તબીબોની માંગ સાથે સહમત નથી. જો હડતાળ નહીં સમેટાય તો તબીબો વિરૂદ્વ શિસ્તભંગની કાર્યવાહી કરીશું.’