દેહવ્યાપાર માટે બદનામ આ ગામમાં દીકરીએ કલંક ભુસ્યું, આઝાદી પછી આ વર્ષે પહેલી દીકરી ધોરણ 12માં પાસ થઈ

વિકાસના રોલમોડલ ગણાતા ગુજરાતનું એક કડવું સત્ય છે બનાસકાંઠાનું વાડિયા ગામ. આ વાડિયા એટલે એ ગામ, જ્યાં દીકરીઓને ખુદ પરિવાર દેહવ્યાપારમાં ધકેલે છે. અહીં આખું ગામ દેહવ્યાપાર કરે છે. મહિલાઓ પાસે જીસ્મનો ધંધો કરાવવાની વર્ષોથી ચાલી આવતી કુપ્રથા અહીં હજી પણ ચાલુ છે. લોહીના વેપાર માટે બદનામ વાડિયા ગામમાં હવે સોનાનો સૂરજ ઊગ્યો છે. આઝાદીનાં આટલાં વર્ષો બાદ વાડિયાની પહેલી દીકરીએ 12મું ધોરણ પાસ કર્યું છે. રવિના નામની છોકરીએ ધોરણ-12માં 60 ટકા મેળવી ગામને માથે લાગેલી કાળી ટીલી ભૂસવાની શરૂઆત કરી છે.

image source

થરાદ તાલુકાના વાડિયા ગામનું નામ પડે એટલે ઘણા લોકોનું નાકનું ટેરવું ચડી જાય છે. કહેવાતા સંનિષ્ઠો જે ગામનું નામ લેતા ડરે છે ત્યાં એક સેવાભાવી શારદાબેને ગામને દૂષણમાંથી મુક્ત કરાવવાનું બીડું ઝડપ્યું છે. શારદાબેને વર્ષો પહેલાં વાડિયાની નિરાધાર દીકરી રવિનાને આશરો આપી ભણાવી- ગણાવીને મોટી કરી હતી. દીકરી રવિનાએ પણ આજે 60 ટકા સાથે ધોરણ-12 પાસ કરી સાબિત કર્યું છે કે કાળી અંધારી રાતમાં ખંત અને પુરુષાર્થથી બધું બદલાઇ શકે છે.

શારદાબેને જણાવ્યું, કે ‘રવિના પહેલા ધોરણથી મારે ત્યાં જ ભણતી હતી. તેની મમ્મી બીમાર રહેતી હતી. તેમને કેન્સર તથા કિડનીની બીમારી હતી. રવિના સાત ધોરણ સુધી મારે ત્યાં જ ભણી. ત્યારે તેનાં મમ્મી ખૂબ સિરિયસ હતાં. તેમણે મને એમ કહ્યું હતું કે મારી દીકરી તમને સોંપું છું. તમે રાખજો. તમે તેને ભણાવજો. બાદમાં તેની મમ્મી મૃત્યુ પામી. ગામની બીજી દીકરીઓની જેમ માસૂમ રવિના પણ ભટકી જવાની જ હતી, પણ મેં તેની આંગળી પકડી લીધી. રવિના ત્યારથી મને જ મમ્મી કહે છે.

પાલનપુર રહેતાં રવિનાના માસીએ તેને પોતાની સાથે લઈ જવાનું કહ્યું, એટલે મેં કહ્યું, તેને લઈ જાઓ, એમાં વાંધો નથી, પરંતુ તેને ભણાવવાની છે. ત્યાર બાદ રવિનાને પાલનપુરમાં એડમિશન અપાવ્યું. તેને દર મહિને રેશનકિટ, કપડાં, સ્ટેશનરી તથા અન્ય ખર્ચો પણ આપતા હતા. એ બારમાં ધોરણ સુધી ભણી અને હવે થરાદમાં જ કોલેજ કરવાની ઈચ્છા છે. રવિનાને IPS બનવું છે. બીજી દીકરીઓને પણ કહેવું છે કે આપણે લોકો પણ કંઈક બની શકીએ છીએ. ગામમાં પણ એક મેસેજ જાય કે ધંધો કરતાં રૂપિયા મળે તો એ નોકરી કરતાં પણ મળે જ છે તો પછી નોકરી કેમ ન કરીએ?’

image source

આ સમાચાર મીડિયા આવતાં રવિનાને થોડું દુ:ખ થયું અને શારદાબેનને આ અંગે ફરિયાદ કરી હતી તો તેમણે સમજાવતાં કહ્યું હતું, ‘બેટા, મીડિયામાં આવ્યું તો બધાને ખબર પડી કે આવા ગામમાં આવી દીકરી પણ ભણે છે.’ શારદાબેનની પુત્રી માનસી પણ મહિલા ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. માનસીએ કહ્યું હતું, ‘રવિનાનું રિઝલ્ટ આવ્યા પછી કલેક્ટર અને મોટા નેતાઓ ઘરે મળવા આવ્યા હતા અને ગિફ્ટ આપી હતી. રવિનાનો પ્રશ્ન હતો કે મોદી સર, મારા વિશે વાંચશે કે નહીં? એટલે મેં સમજાવી કે વાંચશે. અમારા ત્યાંના કલેકટરે મને ફોન કરીને કહ્યું કે મારે દીકરીને તમારા ઘરે મળવા આવવું છે. અમારા બધા માટે આ મોટી વાત છે. એ પહેલાં મૂંઝવણમાં હતી. પછી અમારા ત્યાં બીજાં બાળકો પણ ભણે છે. તેમની માતાઓને બતાવીને મેં તેમને કહ્યું, આ લોકોને કલેક્ટર મળવા આવ્યા? તને જ કેમ મળવા આવ્યા? તારો રસ્તો અને તેમનો રસ્તો જુદો છે.’

રવીનાએ તેણે કહ્યું કે, ‘IPS બનીને શારદાબેનનું નામ રોશન કરવું છે, કારણ કે 20-25 વર્ષથી એ વાડિયામાં કામ કરે છે. એનું કોઈ ફળ મળ્યું નથી. એ ફળ હું જ આપીશ. મારી વાત કૃષ્ણ ભગવાનને મળતી આવે છે, કારણ કે મને જન્મ આપ્યો બીજી માએ અને ઉછેરી છે બીજી માએ.’

અત્યારે શારદાબેન પાસે કુલ 20 દીકરી અને 10 દીકરા છે. થરાદમાં તમામ દીકરીઓ શારદાબેનના ઘરે જ રહે છે અને આસપાસમાં આવેલી ત્રણ સ્કૂલમાં ભણવા જાય છે. રવિનાનું રિઝલ્ટ જોઇને વાડિયા ગામના અન્ય લોકોએ કહ્યું પણ પોતાની દીકરીઓને ભણાવવાની વાત કહી છે.