આખરે કેમ પુરીના ભગવાન જગન્નાથની મૂર્તિઓ રહી ગઈ અધૂરી? જાણો શુ છે પૌરાણિક માન્યતાઓ
ઓરિસ્સાના પુરીમાં આવેલું જગન્નાથ મંદિર ભારતના ચાર પવિત્ર મંદિરોમાંનું એક છે. દર વર્ષે અષાઢમાં ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રામાં દેશના ખૂણે-ખૂણેથી લોકો પહોંચે છે. ભગવાન શ્રીકૃષ્ણ જગન્નાથ મંદિરમાં જગન્નાથ નામથી બિરાજમાન છે. અહીં તેમની સાથે તેમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પણ છે. અષાઢના શુક્લ પક્ષના બીજા દિવસે શરૂ થનારી રથયાત્રામાં રથને કોઈ મશીન કે પ્રાણી દ્વારા નહીં પરંતુ ભક્તો દ્વારા ખેંચવામાં આવે છે.પુરીમાં ભગવાન જગન્નાથ ઉપરાંત મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓ લાકડાની બનેલી છે. પ્રથમ આશ્ચર્યની વાત એ છે કે ત્રણેયની મૂર્તિઓ અધૂરી છે અને બીજી વાત એ છે કે મંદિરનો કોઈ પડછાયો નથી. આવો જાણીએ શા માટે આ મૂર્તિઓ અધૂરી રહી અને શા માટે ભગવાન જગન્નાથની અધૂરી મૂર્તિની પૂજા કરવામાં આવે છે…
પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ન પુરીમાં મંદિર બનાવી રહ્યા હતા ત્યારે તેમણે ભગવાન જગન્નાથની મૂર્તિ બનાવવાનું કામ ભગવાન શિલ્પી વિશ્વકર્માને સોંપ્યું હતું.
મૂર્તિ બનાવતા ભગવાન વિશ્વકર્માએ રાજા ઈન્દ્રદ્યુમ્ન સામે એક શરત મૂકી કે તેઓ દરવાજો બંધ કરીને મૂર્તિ બનાવશે અને જ્યાં સુધી મૂર્તિઓ ન બને ત્યાં સુધી કોઈ અંદર પ્રવેશશે નહીં. જો કોઈ કારણોસર દરવાજો વહેલો ખોલવામાં આવશે, તો તેઓ મૂર્તિ બનાવવાનું બંધ કરશે.
બંધ દરવાજાની અંદર મૂર્તિ બનાવવાનું કામ થઈ રહ્યું છે કે નહીં એ જાણવા રાજા દરવાજાની બહાર ઊભા રહીને મૂર્તિ બનાવવાનો અવાજ સાંભળતાં હતા . એક દિવસ રાજાને અંદરથી કોઈ અવાજ ન આવ્યો એટલે તેને લાગ્યું કે વિશ્વકર્માએ કામ છોડી દીધું છે. આ પછી રાજાએ દરવાજો ખોલ્યો.
આ પછી ભગવાન વિશ્વકર્મા ત્યાંથી અદૃશ્ય થઈ ગયા અને ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ અધૂરી રહી ગઈ. તે દિવસથી આજ સુધી અહીં મૂર્તિઓ આ સ્વરૂપમાં બિરાજમાન છે. અને આજે પણ આ સ્વરૂપમાં ભગવાનની પૂજા થાય છે.
જો કે હિંદુ ધર્મમાં તૂટેલી કે અધૂરી મૂર્તિની પૂજા કરવી અશુભ માનવામાં આવે છે, પરંતુ હિંદુઓના ચાર ધામોમાંથી એક પુરીના જગન્નાથ ધામની મૂર્તિઓ અધૂરી છે. તેમ છતાં, પૂજા સંપૂર્ણ ભક્તિ સાથે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ત્રણેય દેવોમાં શ્રદ્ધા અને આસ્થા ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.