પાકિસ્તાનના પેશાવરમાં 2 શીખોની હત્યા, 8 મહિનામાં બીજી વખત થયો આવો હુમલો
પાકિસ્તાનના પેશાવરમાં બે શીખોની હત્યા કરવામાં આવી છે. મૃતકોની ઓળખ કુલજીત સિંહ અને રણજીત સિંહ તરીકે થઈ છે. છેલ્લા આઠ મહિનામાં પેશાવરમાં શીખ સમુદાય પર આ પ્રકારનો બીજો હુમલો છે. સપ્ટેમ્બર 2021 માં, એક શીખ હકીમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, ISIS ની એક શાખાએ તે હુમલાની જવાબદારી લીધી હતી.
ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી મહમૂદ ખાને આ ઘટનાની નોંધ લીધી છે અને પોલીસ મહાનિરીક્ષકને હત્યામાં સામેલ લોકોની તાત્કાલિક ધરપકડ કરવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. સીએમ ખાને કહ્યું કે આ ઘટના અત્યંત નિંદનીય અને દુઃખદ છે અને આ જઘન્ય હત્યામાં સામેલ તત્વો કાયદાની ચુંગાલમાંથી છટકી શકે નહીં. તેમણે પીડિત પરિવારોને ન્યાય અપાવવાનો સંકલ્પ કર્યો.
સીએમના જણાવ્યા અનુસાર, આ ઘટના શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ અને આંતર-ધાર્મિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ છે. તેમનું કહેવું છે કે પ્રાંતીય સરકાર આવા પ્રયાસોને સફળ થવા દેશે નહીં.