‘ગુનેગારોને છોડવા નહિ અને ગરીબોને હાથ પણ નહિ લગાવવો’…, બુલડોઝરને લઇ સીએમ યોગીના ઓફિસરોને સખત આદેશ
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારની ભવ્ય વાપસી બાદથી ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ચાલુ છે, આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. શુક્રવારે અધિકારીઓને કડક સૂચના આપતાં સીએમ યોગીએ કહ્યું કે કોઈ ગરીબની ઝૂંપડી કે દુકાન પર બુલડોઝર નહીં ચાલે. સીએમ યોગીએ ગરીબો પ્રત્યે સંવેદનશીલ બનવાના નિર્દેશ આપ્યા છે.
સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને ગુના અને ગુનેગારો પ્રત્યે ઝીરો ટોલરન્સ અને ગરીબો પ્રત્યે સંવેદનશીલ વલણ રાખવા સ્પષ્ટપણે કહ્યું છે. કડક આદેશ આપતાં સીએમ યોગીએ કહ્યું કે બુલડોઝર દ્વારા ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવાની કાર્યવાહી માત્ર વ્યાવસાયિક માફિયાઓ, ગુનેગારો પર જ થવી જોઈએ અને પ્રશાસનનું બુલડોઝર કોઈ ગરીબની ઝૂંપડી પર નહીં ચાલે.
સીએમ યોગી આદિત્યનાથે સ્પષ્ટ સૂચના આપી છે કે પ્રશાસન ગરીબોની દુકાન, ઘર કે ઝૂંપડા પર બુલડોઝરની કાર્યવાહી નહીં કરે, પરંતુ માફિયાઓની ગેરકાયદેસર મિલકત પર આ કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું છે કે ગરીબોની સંપત્તિ પર અતિક્રમણ કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. આ આદેશ સાથે એ સુનિશ્ચિત કરવામાં આવશે કે આવી કાર્યવાહી અંગે કોઈ ફરિયાદ ન મળે. જણાવી દઈએ કે યોગી સરકાર પરત ફર્યા બાદથી જ ગુનેગારો પર બુલડોઝર ચાલી રહ્યું છે. આ સાથે ગેરકાયદેસર અતિક્રમણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે.