ગુજરાતના આણંદ જિલ્લામાં ગઈકાલે રાત્રે હિંસા ફાટી નીકળી, બે સમુદાયો વચ્ચે અથડામણમાં 4 ઘાયલ, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદમાં હનુમાન મંદિર પાસે ગઈકાલે રાત્રે જમીન મુદ્દે બે પક્ષો વચ્ચે થયેલી અથડામણ બાદ પથ્થરમારો થયો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લાના ડીએસપી પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અહીં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ભીડ પર ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા.
બોરસદમાં પથ્થરમારાની ઘટના બાદ મોડી રાત્રે સ્થિતિ કાબુમાં આવી હતી. પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. તમામ જગ્યાએ પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે.
પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા :
પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 50 થી વધુ ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા અને 30 રબરની ગોળીઓ પણ છોડવી પડી હતી. હાલ એસઆરપીની બે ટીમો સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. મોડી રાત બાદ કોઇપણ પ્રકારની હિંસા થઇ નથી. આ સાંપ્રદાયિક હિંસા બાદ પોલીસે 14 લોકોની ધરપકડ કરી છે. આજે ગૃહમંત્રી અમિત શાહનો પણ આણંદ જિલ્લામાં એક કાર્યક્રમ છે, જેના કારણે આ સમગ્ર વિસ્તારમાં પોલીસ સંપૂર્ણ રીતે કડક છે અને શાંતિ જાળવવા તમામ પગલાં લઈ રહી છે.
શુક્રવારે હિંસક દેખાવો થયા હતા :
જણાવી દઈએ કે શુક્રવારે દેશના ઘણા શહેરોમાં શુક્રવારની નમાજ બાદ નૂપુર શર્મા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આમાંના ઘણા સ્થળોએ, પ્રદર્શન હિંસક બન્યું, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. તે જ સમયે, પોલીસે લાઠીચાર્જ, ટીયર ગેસ અને હવામાં ગોળીબાર કરીને પરિસ્થિતિને કાબૂમાં લેવી પડી હતી. ત્યારથી તમામ શહેરોમાં પોલીસ કડક બની છે અને ઝીણી બાબતો પર પણ કડક કાર્યવાહી કરી રહી છે.