ક્યાંક આગ ચાપી તો ક્યાંક હાઈવે ઝામ. યુવાનો ઉતરી ગયા રેલવે ટ્રેક પર, અગ્નિપથ સ્કીમને લઈ દેશમાં ભારે વિરોધ
સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી ‘અગ્નિપથ યોજના’નો વિરોધ ઉગ્ર બન્યો છે. રાજકીય પક્ષોની સાથે સામાન્ય યુવાનો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને બિહારમાં હંગામો વધી રહ્યો છે. બિહારના જહાનાબાદ, બક્સરમાં આજે વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો. ત્યાં વિદ્યાર્થીઓએ રસ્તા રોક્યા અને આગચંપી થઈ. વિદ્યાર્થીઓએ જહાનાબાદમાં NH-83 અને NH-110માં આગ લગાવી.
અગાઉ બક્સર, મુઝફ્ફરપુર, ગયામાં પણ વિરોધ પ્રદર્શન થયા હતા. સેનામાં ચાર વર્ષની ભરતીની આ યોજનાથી રોષે ભરાયેલા યુવાનોએ ગઈકાલે પથ્થરમારો પણ કર્યો હતો.
બિહારના બક્સર જિલ્લામાં રેલ અને માર્ગ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બક્સરમાં લગભગ 100 યુવાનોએ રેલ્વે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ હતી. વિરોધને કારણે જનશતાબ્દી એક્સપ્રેસ લગભગ 30 મિનિટ મોડી પડી હતી. બક્સરમાં આજે પણ પ્રદર્શન ચાલુ છે.
ગઈકાલે બક્સર સ્ટેશન પરથી પસાર થતી પાટલીપુત્ર એક્સપ્રેસ પર વિરોધીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના અહેવાલો પણ મળ્યા હતા. આ પહેલા બુધવારે મુઝફ્ફરપુરના ચક્કર મેદાનમાં સેનામાં સામેલ થવાની તૈયારી કરી રહેલા યુવાનોએ પ્રદર્શન કર્યું હતું. ત્યાં આ યુવકોએ કેટલાક ટાયરો સળગાવી દીધા હતા.
વિરોધ કરી રહેલા યુવાનોએ કહ્યું હતું કે તેઓ નિરાશ છે કે શારીરિક રીતે સ્પષ્ટ હોવા છતાં, સેનાએ તેમની બે વર્ષથી ભરતી કરી નથી. આ દરમિયાન સરકાર એક નવી સ્કીમ લઈને આવી છે.
ભારતીય સેનામાં પ્રથમ વખત આવી યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં ટુંકાગાળા માટે સૈનિકોની ભરતી કરવામાં આવશે. આ યોજના હેઠળ દર વર્ષે લગભગ 40-45 હજાર યુવાનોને સેનામાં સામેલ કરવામાં આવશે. આ યુવકોની ઉંમર સાડા 17 વર્ષથી લઈને 21 વર્ષની વચ્ચે હશે.
આ ભરતી મેરિટ અને મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.
આ ચાર વર્ષમાં સૈનિકોને 6 મહિનાની મૂળભૂત લશ્કરી તાલીમ આપવામાં આવશે.
30-40 હજાર માસિક પગારની સાથે અન્ય લાભો પણ આપવામાં આવશે.
પ્રથમ વર્ષે 30 હજાર, બીજા વર્ષે 33 હજાર, ત્રીજા વર્ષે 36500 અને ચોથા વર્ષે 40 હજાર.
ચાર વર્ષ પૂર્ણ થયા બાદ આ તમામ અગ્નિવીરોની સેવાનો અંત આવશે અને ત્યારબાદ નવી ભરતી કરવામાં આવશે.
તેમની સેવા પૂરી કરનાર 25 ટકા અગ્નિવીરોને કાયમી કેડરમાં ભરતી કરવામાં આવશે.