પ્રદીપસિંહ વાઘેલાએ હાર્દિકના ભાજપમાં આવવાને લઈ આપ્યું મોટું નિવેદન, ગુજરાત ભાજપને લઇ જાણો શુ છે અપડેટ
હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ હાર્દિક પટેલ ભાજપમાં જાય છે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. જો હાર્દિક ભાજપમાં જાય અને નરેશ પટેલ કોગ્રેસમા જોડાય તો ગુજરાતની રાજનીતિમાં નવા સમિકરણો રચાય શકે તેમ છે. જેમાં આગામી ચુંટણીમાં લઉવા અને કડવા પટેલના મત વેચાઈ શકે છે. પણ હજુ ન તો હાર્દિકે બંધ બાજી ખોલી છે ન નરેશ પટેલે બંને આગામી સપ્તાહ સુધીમાં કઈ વિચારધારા સાથે જોડાશે તેનો ફોડ પાડશે. હાલનો સૌથી વધુ હાર્દિક પટેલ ભાજપમાં જોડાય છે તેવી વાતા દરેક ગામના ચોરે થઈ રહી છે.
ત્યારે ગુજરાત ભાજપના મહામંત્રી હાર્દિક પટેલ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે હાર્દિક પટેલે ભાજપનો સંપર્ક કર્યો નથી. એટલે હાલમાં હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાનો પ્રશ્ન નથી. અમે પણ હાર્દિક પટેલનો સંપર્ક કર્યો નથી. મહત્વનું છે કે ચૂંટણી પહેલાની આ રાજનીતિ છે પડ્યા બોલ ઝીલવાએ અશક્ય વસ્તુ છે. અંદરખાને થતાં સેટિંગને કોઈ પણ પાર્ટી સપૂર્ણ રીતે ઉજાગર કરતી નથી. એક તરફ ખાસ સૂત્રો કહી રહ્યા છે કે હાર્દિક ભાજપમાં જોડાય તેવી શક્યતા 70% છે જ્યારે આપમાં જોડાય તેવી સંભાવના 30% છે ત્યારે અંદરખાને શું ખિચડી રંધાય છે એતો આવનાર સમયમાં ખબર પડશે.
હાર્દિકે ભાજપમાં સામેલ થવુ કે નહી તે હાર્દિકનો વ્યક્તિગત નિર્ણય છે. ભાજપના આ પ્રકારના નિવેદનથી એ સ્પષ્ટ થયુ છે કે, હાર્દિક માટે ભાજપના દ્વાર ખુલ્લા જ છે. તે ગમે ત્યારે ભાજપમાં સામેલ થાય તો પાર્ટીના કોઈ પણ નેતાને વાંધો નથી.
હાર્દિક પટેલના જણાવ્યા અનુસાર, તેઓ કઈ પાર્ટીમાં જોડાવવાના છે તે નક્કી થઈ જ ગયું છે અને તેમનો આગળનો આખો પ્લાન પણ તૈયાર જ છે, બસ યોગ્ય સમય આવે એટલે સંપૂર્ણ માહિતી સાથે કઈ પાર્ટીમાં શા માટે જોડાઈ રહ્યો છું તેની સંપૂર્ણ માહિતી સાથે જે તે પાર્ટીમાં જોડાઈશ. તેમણે વધુમાં કહ્યું હતું કે જનતાના કામમાં મોડું કરવાનું જ ન હોય, આ જ મહિનામાં હું તમામ એલાન કરી દઈશ.
હાર્દિક પટેલે એક ઈન્ટરવ્યૂમાં જેટલી પણ વાતો કરી તેમાં ખાસ કરીને ભાજપના મુદ્દાઓ પર નરમ વલણ દર્શાવ્યું હતું. રામ મંદિર અને કલમ 370નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે જનતા આ મુદ્દાઓને પસંદ કરે છે અને ભાજપને જીતાડે છે એમાં સ્વીકાર કરવો રહ્યો. જનતાનો મૂડ આ જ છે અને જનતાનો મૂડ જે હશે તે તરફ જ હું નક્કી કરવાનો છું. હાર્દિકના આ નિવેદનથી સંકેત એ જ દેખાઈ રહ્યો છે કે આગામી સપ્તાહ સુધીમાં પાટીદાર નેતા કેસરિયો ધારણ કરી શકે છે.