પુતિન તો પુતિન છે, એક એવું સૂટકેસ છે કે જેનું બટન દબાવે તો ખાલી યુક્રેન જ નહીં પણ આખી દુનિયા તબાહ થઈ જશે

છેલ્લા કેટલાક દિવસોથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની સાથે નજરે પડનારી એક બ્રીફકેસની ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં આ કોઈ સાધારણ બ્રીફકેસ નથી, પરંતુ પુતિનની ન્યૂક્લિયર બ્રીફકેસ છે, જેમાં પરમાણુ હુમલાનો આદેશ આપવાની સિસ્ટમ રહેલી હોય છે. યુક્રેનની સાથે યુદ્ધ શરૂ થયા પછીથી જ પુતિને પોતાના ન્યૂક્લિયર વેપન્સને એલર્ટ મોડ પર રાખ્યા હતા. એવામાં હવે પુતિન ન્યૂક્લિયર બ્રીફકેસની સાથે નજરે પડતા ફરી એકવાર આ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું પુતિન યુક્રેન પર ન્યૂક્લિયર એટેક કરવાના છે.

image source

એવામાં ચાલો જાણીએ કે આખરે શું છે પુતિનની ન્યૂક્લિયર બ્રીફકેસ? આનાથી કેવી રીતે આપવામાં આવે છે ન્યૂક્લિયર એટેકનો કમાન્ડ? શા માટે છે આનાથી યુક્રેન અને દુનિયાને જોખમ? શું ભારતીય PMની પાસે પણ હોય છે ન્યૂક્લિયર બ્રીફકેસ?

સામાન્ય રીતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન જ્યાં પણ જાય છે, પોતાની સાથે ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે રાખે છે, પરંતુ યુક્રેન પર હુમલા પછી હાલમાં જ કેટલાક જાહેર કાર્યક્રમો દરમિયાન જ્યારે પુતિન આ ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે નજરે પડ્યા તો એ ચર્ચા શરૂ થઈ ગઈ કે શું પુતિન યુક્રેન પર ન્યક્લિયર એટેકની તૈયારી કરી રહ્યા છે.

હાલના દિવસોમાં પુતિનની સાથે આ ન્યૂક્લિયર બ્રીફકેસ સૌપ્રથમ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ત્યારે નજરે પડી, જ્યારે તે વ્લાદિમિર જિરિનોવ્સકીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે મોસ્કોના એક ચર્ચમાં પહોંચ્યા હતા. જિરિનોવ્સકીએ પુતિનના યુક્રેનના હુમલાની તારીખની અગાઉ જ ભવિષ્યવાણી કરી દીધી હતી.

બીજી વત આ ન્યૂક્લિયર બ્રીફકેસ હાલમાં જ બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેંકોની સાથે પુતિનની મુલાકાત દરમિયાન નજરે પડી. બંને પ્રસંગે આ ન્યૂક્લિયર બ્રીફકેસને પુતિનના એક બોડીગાર્ડે પકડી રાખી હતી.

રિપોર્ટ્સ અનુસાર, હાલના દિવસોમાં પુતિન પોતાની સંભવિત હત્યાની કોશિશોથી પણ ડરેલા છે અને તેથી પોતાનું સુરક્ષા ચક્ર વધુ મજબૂત કર્યુ છે. એક રિપોર્ટ અનુસાર, કોરોના વેક્સિનના આઠ ડોઝ લગાવ્યા પછી પણ પુતિન કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમને થાઈરોઈડ કેન્સર હોવાની પણ અટકળો છે.

image source

આમ તો પુતિનની ન્યુક્લિયર બ્રીફકેસ જોવામાં કોઈ સામાન્ય બ્રીફકેસ જેવી જ દેખાય છે. પરંતુ આ કોઈ સાધારણ બ્રીફકેસ નથી પણ આ ન્યૂક્લિયર બ્રીફકેસ દ્વારા પુતિન ન્યૂક્લિયર એટેકનો આદેશ આપી શકે છે.

આ ન્યૂક્લિયર બ્રીફકેસમાં પરમાણુ હુમલા સાથે સંકળાયેલા ડોક્યુમેન્ટ અને અલર્ટ અલાર્મ એટલે કે ન્યુક્લિયર હુમલાની કમાન્ડ સિસ્ટમ હોય છે.

રશિયન ભાષામાં આ બ્રીફકેસને ચેગેટ કહેવામાં આવે છે. આ બ્રીફકેસનું નામ રશિયાના કબાર્ડિનો બલકરિયા વિસ્તારમાં સ્થિત એક પહાડના નામ પરથી પડ્યું છે.

આ બ્રીફકેસ સૌપ્રથમ 1980ના દાયકામાં સોવિયેત સંઘના ટોચના નેતા યુરી આંદ્રોપોવના ટૂંકા શાસનકાળ દરમિયાન અસ્તિત્વમાં આવી હતી.

આ બ્રીફકેસ 1985માં સોવિયેત રાષ્ટ્રપતિ મિખાઈલ ગોર્બાચેવના શાસનમાં એક્ટિવ સર્વિસમાં આવી અને ત્યારથી તેનો સતત ઉપયોગ થઈ રહ્યો છે.

પુતિનને આ ન્યૂક્લિયર બ્રીફકેસ ડિસેમ્બર 1999માં સોંપવામાં આવી હતી અને તેના પછીથી તેઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે.

અત્યાર સુધી આ બ્રીફકેસને માત્ર એકવાર વિસ્તૃત રીતે જાહેરમાં દર્શાવવામાં આવી છે. 2019માં રશિયાના સંરક્ષણ મંત્રાલયની ચેનલ Zvezdaએ આ બ્રીફકેસને ટીવી પર દર્શાવી હતી.

ન્યૂક્લિયર બ્રીફકેસ રશિયામાં રાષ્ટ્રપતિની તાકાતની ઓળખ છે.