સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રેપ વિશે આપ્યું મોટું નિવેદન, કહ્યું- ફોનમાં અશ્લિલ ક્લિપોના કારણે થાય છે દુષ્કર્મ

સુરતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સરસાણા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે દુષ્કર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીના કહેવા મુજબ, દુષ્કર્મ જેવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે એને માટે સીધો દોષ પોલીસ પર નાખવામાં આવે છે, પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં પોલીસને દોષ આપવા કરતાં સામાજિક રીતે લોકોની વિકૃત માનસિકતાને કારણે આ પ્રકારની ઘટના બનતી હોય છે.

image source

હર્ષ સંઘવીએ સર્વેને ટાંકતાં કહ્યું હતું કે બાળકીઓ પરના કેસમાં મોટે ભાગે પરિવારના નજીકના કે પાડોશીઓ જવાબદાર હોય છે. જ્યારે દુષ્કર્મ આચરનારા મોબાઈલમાં વિકૃત ફિલ્મ જોઈને આ પ્રકારનાં કર્મો કરતાં હોય છે. હર્ષ સંઘવીએ ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ઘણા કિસ્સાઓમાં સગો બાપ જ પોતાની દીકરી સાથે દુષ્કર્મ કરતો હોય તો એવા કિસ્સા અને કાયદો-વ્યવસ્થા સાથે કેવી રીતે જોડી શકાય. આવા કિસ્સાઓ અને સામાજિક પ્રશ્નોના સંદર્ભમાં લેવાવો જોઇએ.

સમાજમાં આ પ્રકારની માનસિકતા કેવી રીતે ઊભી છે એના પર અધ્યયન કરવું જોઈએ, ન કે માત્ર દુષ્કર્મ બળાત્કાર જેવી ઘટનાઓ બને અને એનો દોષ પોલીસ વિભાગ પર છોડી દેવો જોઈએ. કોઈ નજીકની જ વ્યક્તિ પોતાની આસપાસની દીકરી સાથે દુષ્કર્મ જેવી ઘટનાને અંજામ આપે તો એને સ્વાભાવિક રીતે જ સામાજિક દૂષણ કે, સામાજિક માનસિકતાનો પ્રશ્ન માની શકાય.

image source

તેમણે વધુમાં કહ્યું હતું કે દુષ્કર્મ જેવી ઘટનાઓ પાછળ મોબાઈલ સૌથી વધુ જવાબદાર હોય, એ પ્રકારનો અનેક સર્વેમાં ઘટસ્ફોટ થયો છે. મોબાઇલની અંદર જે મૂવી અને વીડિયો હોય છે એને કારણે લોકોની માનસિકતા પર ખૂબ મોટી અસર થઇ છે. મોટા ભાગના સર્વેની અંદર દુષ્કર્મ માટે ફેલાવા પાછળનું કારણ મોબાઈલનો કરવામાં આવતો દુરુપયોગ હોવાનું તારણ બહાર આવ્યું છે. એ સિવાય દુષ્કર્મના કિસ્સાઓમાં કેટલાંક સ્વજનો અથવા તો પોતાની આસપાસના જાણીતા લોકો જ આ પ્રકારની ઘટનાને અંજામ આપી દેતા હોય છે. પોતાના જ પરિવારની દીકરી સાથે પોતાના નજીકના લોકો દુષ્કર્મ ગુજારતા હોય છે. એને કાયદો-વ્યવસ્થાની ત્રુટિ માનવાને બદલે સામાજિક દૃષ્ટિકોણથી આવી ઘટનાને જોવી જોઈએ. સમાજમાં આ પ્રકારની માનસિકતા જ્યાં ઊભી થાય છે એને રોકવા માટેના સામાજિક સ્તર પર જ પ્રયાસો કરવા ખૂબ જરૂરી છે.