૪૮૭૪ દીકરીઓના પિતા તરીકે ઓળખાતા મહેશ સવાણીએ કહ્યું, અંબાણી-અદાણી જેટલા પૈસા હોત તો રાજ્યની બધી જ દીકરીઓના લગ્ન કરવી આપત
આજે ૧૯ જૂન, રવિવારના દિવસે ફાધર્સ ડે છે. આ પ્રસંગે આજે આપણે એક એવા પિતાની વાત કરીશું જેને એક, બે નહીં પણ ૪૮૭૪ દીકરીઓના પિતા છે! હા તમે સાચું જ વાંચ્યું. વાત કરી રહ્યા છીએ મહેશ સવાણી. રાજ્યની પિતાની વગરની ૪૮૭૪ દીકરીઓને તેમણે અત્યાર સુધીમા સાસરે વળાવી દીધી છે. એક પિતા તેની લાડકવાયી દીકરીની જે બધી બાબતોની સંભાળ રાખે એમ જ આ મહેશભાઈ પણ રાખે છે. ફાધર્સ-ડે પર અમે મહેશભાઈ સાથે વાતચીત કરી, તેમા તેમણે કહ્યુ, ‘મારે વધારેમા વધારે દીકરીઓના લગ્ન કરાવવા છે. જો મારી પાસે અંબાણી કે અદાણી જેટલા પૈસા હોત તો હું આખા રાજ્યની તમામ દીકરીઓના લગ્ન કરાવી આપત.’ દીકરીઓ મહેશભાઈ સવાણીને લાડમા ‘વર્લ્ડના બેસ્ટ પપ્પા’ કહીને બોલાવે છે.
તે પુત્રવધૂઓને કેમ પગે લાગે છે? :
મહેશભાઈ માટે કોઈ પણ સ્ત્રી ભગવાનનું સ્વરૂપ જ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ મહેશભાઈ આજે પણ તેમના ઘરની બહાર જાય ત્યારે તેમની બંને પુત્રવધૂના ચરણસ્પર્શ કરીને જ જાય છે. પોતાના દીકરા મોહિતના લગ્નમા પણ તેમણે બધાને મહેમાનોની હાજરીમા આ નવપરિણીત પુત્રવધૂના ચરણસ્પર્શ કર્યા. આ બાબતે તેમણે કહ્યું હતું કે, ‘મેં મારી પુત્રવધૂને કોઈ દિવસ પુત્રવધૂ નથી કહ્યું.
હું રોજ ઘરેથી નીકળું તો મારી બંને દીકરીઓ એટલે કે મારા બંને દીકરા મિતુલ અને મોહિતની પત્ની જાનકી અને આયુષીને હું પગે લાગીને જ બહાર નીકળું છું, કેમ કે હું એમને જ મારા ભગવાન અને સર્વશ માનું છું. એ જ જગત જનની છે. તેઓ જ મારો વંશ પણ આગળ વધારવાની છે. એ બંને મારી દીકરીઓ જ છે. આ બંને દીકરીઓ મારી સ્કૂલોને સંભાળે છે. આ દીકરાઓ બિઝનેસમાં છે અને સોશિયલ પ્રોગ્રામ હોય ત્યારે પણ તેઓ જવાબદારી નિભાવે છે. સમૂહલગ્નમા જે દીકરીઓ પરણવાની હોય તેની શોપિંગની જવાબદારી પણ તેઓ જ નિભાવે છે.’
પૈસા કમાતા પહેલા તેને વાપરતા શીખો :
તેઓ કહે છે કે, ‘મારા પિતા એક જ વસ્તુ કહેતા કે રૂપિયા કમાતા પહેલા તેને વાપરતા શીખો. કમાવો છો એના કરતા કઈ જગ્યાએ તેને વાપરો છો એ વધારે મહત્તવનું છે. એટલે જ અમારા પરિવારમા આ સંસ્કારો તો મા બાપમાંથી જ અમને મળ્યા છે. અમે ભણતા હતા ત્યારથી મારા પિતાના સોશિયલ કામમાં અમે પણ રહેતા હતા. મારૂં ફેમિલી મારા સાથમા જ રહે છે.
મારા પિતાએ આજથી ત્રીસ વર્ષ પહેલા મારા લગ્ન એક સમૂહમા કર્યા હતા. અમે ચાર ભાઈ બહેનો છીએ તેમના પણ લગ્ન પિતાએ સમૂહમા જ કર્યા હતા. મે મારા બે દીકરાઓ મિતુલ અને મોહિતના લગ્ન પણ સમૂહ લગ્નમાં જ કર્યા હતા. આવતા વર્ષે મારા ભાઈના બે દીકરાઓના લગ્ન પણ અમે સમુહમા જ કરવાના છીએ. અમે ખોટા દંભ કે દેખાડામા નથી માનતા. રૂપિયો સારી જગ્યાએ વપરાય અને વાપરેલા પૈસાથી બીજા લોકોને પણ લાભ મળે એ વધારે મહત્વનુ છે.’
મારા દીકરાએ સામેથી કહ્યું કે દીકરીઓને ખોટું નહીં લાગેને?
તેમણે કહ્યું કે, ‘મેં મારા દીકરાના લગ્ન સમૂહમા જ કર્યા ત્યારે અમે એવુ પ્લાનિંગ કર્યું હતું કે એક પ્રોગ્રામ આપણે VVIP મહેમાનો માટે પણ કરીએ. એટલે અમે ત્યારે સંગીત સંધ્યા રાખીએ. આ વખતે મારા દીકરાએ મને સામેથી જ કહ્યું કે આપણે આ પ્રોગ્રામ અલગથી કરીએ તો આપની દીકરીઓને ખરાબ ન લાગે? તો આપણે આ પ્રોગ્રામ ન કરીએ તો વધારે સારું. આ નિર્ણય મારા દીકરાનો હતો. અમારા પરિવારમા ત્રણ ભાઈના છ દીકરા દીકરી છે તેમાથી કોઈ પણ નથી કહેતુ કે અમારે ધામધૂમથી કે પછી ડેસ્ટિનેશન વેડિંગ કરવા છે.’
અત્યાર સુધીમા ૧૫૦ કરોડથી વધારે રૂપિયાનો ખર્ચ કર્યો હતો :
તેમણે આગળ કહ્યું કે, ‘અમે અત્યાર સુધીમાં ૪૮૭૮ દીકરીઓના લગ્ન અમે કરવી દીધા છે. વર્ષ ૨૦૦૭ બાદ કોરોનાના એક વર્ષને પછી કરતા દર વર્ષે સમુહલગ્નનુ આયોજન અમે કરીએ જ છીએ. નોટબંધી પહેલા ખર્ચો વધારે થતો હતો. પછી અમે થોડું લિમિટેશન રાખી દીધું. પહેલા જ્વેલરી અને ગોલ્ડ પણ આપતા હતા, જે હવે અમે ઓછું કરી નાખ્યું છે. દીકરીઓના લગ્ન અને તે પછી તેમની ડિલિવરી સુધીનો તમામ ખર્ચ અમે ભોગવીએ છીએ. જે એવરેજ વર્ષના ૧૪ કરોડ રૂપિયા જેટલા છે. એટલે કે અમે ૧૫૦ કરોડ રૂપિયાથી વધારેની રકમ અમે ખર્ચી છે.’