આ તો ગજબ થઈ ગયું યાર, રાજકોટમાં બાળકને બચકા ભર્યા બાદ બાળકનું તો મોત પણ પછી શ્વાનનું પણ મોત થતા હાહાકાર
રાજકોટ જિલ્લાના ગામડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં પારણે જુલી રહેલા નવ માસના બાળકને કૂતરાએ બચકા ભરી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનામાં કૂતરાને પ્રતિકાર કરનાર મૃતકના પિતા સહિત બે વ્યક્તિઓને પણ કૂતરાએ બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે, ત્યારે 9 માસના માસુમનું મૃત્યુ નિપજતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના ઠેબચડા ગામની સીમમાં લક્ષ્મણભાઈની વાડીમાં ખેત મજૂરી કરતા અને વાડીમાંજ રહેતા મૂળ મધ્ય પ્રદેશના વતની પારસભાઈ વસાવા અને તેમની પત્ની સહિતના લોકો વાડીમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમનો 9 માસનો પુત્ર સાહિલ કપડાના પારણામાં ઝૂલી રહ્યો હતો. આ સમયે એક શ્વાન ત્યાં કાળ બનીને ત્રાટકયો હતો. સૌપ્રથમ કપડાના ઘોડિયામાં રહેલા બાળકને આંખના ભાગે બચકું ભર્યું હતું. જે બાદ તેને ગળાના ભાગેથી ઊંચકી ત્યાંથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે બાળકે ચીસાચીસ કરી મૂકતા બાળકના માતા-પિતા સહિત વાડીમાં કામ કરતાં લોકોનું ધ્યાન ખેંચાયું હતું.
આથી બાળકના માતા-પિતા સહિતના લોકોએ બાળકને બચાવવાનો પ્રયાસ કરતાં શ્વાને તેમના પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક મોતને ભેટ્યો હતો, જ્યારે તેના પિતા સહિત 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.