અમદાવાદમાં બે વર્ષ બાદ 1 જુલાઈએ લાખો ભક્તો સાથે નીકળશે જગન્નાથ રથયાત્રાએ

ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નગરચર્યાએ નીકળે છે. પરંતુ કોરોના મહામારીને કારણે સતત બે વર્ષ સુધી ભગવાનની રથયાત્રા ભક્તો વિના જ નીકળી હતી. પરંતુ આ વર્ષે એટલે કે 1 જુલાઈએ જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા રંગેચંગે કાઢવામાં આવશે. પરંતુ આ વર્ષે કોરોના કેસો નહિવત્ છે ત્યારે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા ભજન મંડળી, અખાડા ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતાં ટ્રકો સાથે નીકળશે. મંગળવારે વૈશાખ સુદ ત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથનું પૂજન મંદિરના મહંત ટ્રસ્ટીઓ અને સાધુ સંતોની હાજરીમાં કરવામાં આવશે.

image source

આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે હાથી, અખાડા, ભજન મંડળી તેમજ શણગાર કરેલી ટ્રકો સાથે નીકળશે. ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તોની હાજરીમાં નીકળશે અને લોકો ભગવાનના દર્શન કરી શકશે. 14મી જૂને ભગવાનની જળયાત્રા યોજાશે અને 1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.

મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે મંગળવારે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજનો દિવસ છે. રથયાત્રા પહેલા ત્રણેય રથનું પૂજન કરવામાં આવે છે. પુરીમાં આ રથના પૂજનની પરંપરા રહેલી છે તેમ અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથજીના રથ પૂજન કરવામાં આવે છે. વૈદિક મંત્રોચ્ચાર અને વિશિષ્ટ મહાપૂજા સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના એમ ત્રણેય રથનું પૂજન કરાશે.

image source

મંગળવારે સવારે 8.30 વાગ્યે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, સાધુ સંતો સેવકો અને લોકોની હાજરીમાં રથનું પૂજન કરવામાં આવશે. આ રથ પૂજનમાં કોઈ રાજકીય નેતા હાજર રહેશે નહીં. રથ પૂજન બાદ રથનું સમારકામ અને રંગરોગાન સહિતની કામગીરી કરવામાં આવશે. 14 જૂને જળયાત્રા યોજાશે જેમાં રાજ્યના મંત્રીઓ હાજર રહેશે.

કોરોના મહામારીના કારણે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા મંદિરની બહાર કાઢવામાં આવી ન હતી. માત્ર મંદિર પરિસરની અંદર જ ત્રણેય રથને ફેરવી અને આખો દિવસ પરિસરમાં જ મૂકી રાખવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2021માં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નિકાળવામાં આવી હતી. પરંતુ રથયાત્રા ભક્તોને જવાની છૂટ આપવામાં આવી નહતી. આ રથયાત્રા માત્ર હાથી અને ત્રણ રથ સાથે પરંપરાગત રૂટ ઉપર નીકળી હતી. ત્રણ કલાકની અંદર જ રથયાત્રા મંદિર પરિસરમાં પરત ફરી હતી.