બાપ રે બાપ, પોલીસે અગ્નિપથ સ્કીમ સામેના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું, તિરુપતિ રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની કરવામાં આવી હતી તૈયારી
અગ્નિપથ યોજનાના વિરોધના મામલામાં પોલીસે એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. તિરુપતિ રેલવે સ્ટેશનને ઉડાવી દેવાનું કાવતરું ઘડનારા બે લોકોની પોલીસે ધરપકડ કરી છે. અગ્નિપથ યોજનાનો દરેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, પરંતુ આ મામલે એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. આંધ્રપ્રદેશના તિરુપતિ રેલવે સ્ટેશનને પણ ઉડાવી દેવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. પોલીસે આવા બે લોકોની ધરપકડ કરી છે. આ લોકો તિરુપતિ રેલવે સ્ટેશનને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, આ બંને લોકો સેનામાં ભરતીની તૈયારી કરી રહ્યા હતા અને ફિઝિકલ પાસ થયા હતા. આ લોકોની ઓળખ રાજેશ અને રૂપેશ તરીકે થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે વોટ્સએપ ગ્રુપ દ્વારા કેટલાક યુવાનોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે અને તિરુપતિ રેલવે સ્ટેશનને નિશાન બનાવી શકાય છે. આ પછી પોલીસે કાર્યવાહી કરી અને રાજેશ અને રૂપેશ નામના બે લોકોની ધરપકડ કરી. બીજી તરફ, તપાસમાં સામે આવ્યું છે કે કેટલીક આર્મી રિક્રુટમેન્ટ કોચિંગ એજન્સીઓએ સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર એકઠા થવાના સંદેશા આપ્યા હતા. જેમાં પેટ્રોલના ડબ્બા લઇ જવાનો મેસેજ પણ સામેલ હતો.
રાજેશ અને રૂપેશ આર્મી ભરતીની તૈયારી કરી રહ્યા હતા :
ધરપકડ કરાયેલા રાજેશ અને રૂપેશ સેનામાં ભરતીની તૈયારી કરી રહ્યા હતા અને આ લોકોએ શારીરિક કસોટી પાસ કરી હતી. અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ આ લોકોએ સોશિયલ મીડિયા પર ઘણા જૂથો બનાવ્યા અને તેમાં હિંસક વિરોધના મેસેજ વાયરલ થયા. જેમાં રેલવે સ્ટેશન અને સેનાની ચોકી પર નાકાબંધી મુખ્ય હતી. આ લોકો તિરુપતિ જિલ્લાના યારાવરીપાલેમના રહેવાસી છે.
45 લોકોની ધરપકડ, મોબાઈલ પણ જપ્ત :
આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 45 લોકોની ધરપકડ કરી છે અને 44 લોકો પાસેથી મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે આ લોકોના મોબાઈલની તપાસ કરવામાં આવી તો તેમાં 7 ગ્રુપ મળી આવ્યા જે શંકાસ્પદ હતા. આ જૂથોમાં હિંસક સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા અને 17 જૂનના રોજ સવારે 8.30 વાગ્યે સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર પેટ્રોલ બોમ્બ સાથે એકઠા થવાની વાત થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ષડયંત્ર પાછળ આર્મી ભરતી કોચિંગ સેન્ટરનો હાથ છે, જે યુવાનોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે.
તિરુપતિ અને સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે :
ષડયંત્રની માહિતી મળ્યા બાદ તિરુપતિ રેલવે સ્ટેશન અને સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ સ્ટેશનો પર 20 RPF સૈનિકો સાથે, વેંકટગિરીના સ્પેશિયલ પોલીસ બટાલિયનના 71 જવાનો, શ્રીકાલહસ્તીના 24 પોલીસકર્મીઓ, 13 GRP જવાનો અને ‘ઓક્ટોપસ’ના 28 સભ્યો. (ઓક્ટોપસ) તૈનાત કરવામાં આવ્યા છે.