ચાર વર્ષ પછી ‘અગ્નિવીર’નું શું થશે? સેનાની પરંપરા સાથે રમી રહી છે મોદી સરકાર? ગ્નિપથ યોજના પર ઉભા થઈ રહ્યા છે પ્રશ્નો
ભારતીય સેનાની ત્રણેય શાખાઓમાં સૈનિકોની ભરતી માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનું નામ અગ્નિપથ છે, જે હેઠળ સૈનિકોની 4 વર્ષ માટે ભરતી કરવામાં આવશે અને તેમને અગ્નિવીર કહેવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટ તરફથી આ યોજનાને મંજૂરી મળ્યા બાદ કેન્દ્ર સરકારના મંત્રીઓથી લઈને ત્રણેય સેનાના વડાઓ આ નવી યોજનાના વખાણ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ વિપક્ષ સવાલો ઉઠાવી રહ્યો છે. વિરોધમાં કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. તો કેટલાક સંરક્ષણ નિષ્ણાતો પણ આ યોજનાથી ખુશ નથી.
ભારતીય સેનામાં પ્રથમ વખત આવી યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં ટુંકાગાળા માટે સૈનિકોની ભરતી કરવામાં આવશે. આ યોજના હેઠળ દર વર્ષે લગભગ 40-45 હજાર યુવાનોને સેનામાં સામેલ કરવામાં આવશે. આ યુવાનોની ઉંમર સાડા 17 વર્ષથી લઈને 21 વર્ષની વચ્ચે હશે.
આ ભરતી મેરિટ અને મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.
આ ચાર વર્ષમાં સૈનિકોને 6 મહિનાની મૂળભૂત લશ્કરી તાલીમ આપવામાં આવશે.
30-40 હજાર માસિક પગારની સાથે અન્ય લાભો પણ આપવામાં આવશે.
પ્રથમ વર્ષે 30 હજાર, બીજા વર્ષે 33 હજાર, ત્રીજા વર્ષે 36500 અને ચોથા વર્ષે 40 હજાર.
ચાર વર્ષ પૂર્ણ થયા બાદ આ તમામ અગ્નિવીરોની સેવાનો અંત આવશે અને ત્યારબાદ નવી ભરતી કરવામાં આવશે.
તેમની સેવા પૂરી કરનાર 25 ટકા અગ્નિવીરોને કાયમી કેડરમાં ભરતી કરવામાં આવશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ યોજનાને માઈલસ્ટોન ગણાવી છે. જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસનું કહેવું છે કે આવી ભરતીઓને કારણે સેનાની ક્ષમતા અને કાર્યપદ્ધતિ પર અસર પડી શકે છે.
કોંગ્રેસનો એવો પણ સવાલ છે કે આ યોજના હેઠળ ભરતી થયેલા યુવાનો જ્યારે ચાર વર્ષની સર્વિસનો કોન્ટ્રાક્ટ પૂરો કરશે તો તેના પછી તેમના ભવિષ્યનું શું થશે.
શસ્ત્રો, ટેન્ક, આર્ટિલરી, બંદૂકો, મિસાઈલ યુનિટ્સ ઉપરાંત ટેક્નિકલ બાબતોને પણ સમજવાની જરૂર છે, આવી સ્થિતિમાં આ સૈનિકોને ત્રણ મહિનામાં કેવી રીતે પ્રશિક્ષિત કરી શકાશે.
કેન્દ્ર સરકારના ગ્રુપ-ડી અને વર્ગ-4ના કર્મચારીઓનો પગાર પણ 31 હજાર છે, જ્યારે આ કોન્ટ્રાક્ટ પરના સૈનિકોનો પગાર 30 હજાર રાખવામાં આવ્યો છે. વર્ગ-4ના કર્મચારીઓ કરતાં ઓછો પગાર આપીને મોદી સરકાર કેવી રીતે સૈનિકોની ભરતી કરી રહી છે ?
ચાર વર્ષ બાદ અગ્નિવીરોની સેવા ક્યારે સમાપ્ત થશે, તેમનું ભવિષ્ય શું હશે, આ પ્રશ્ન કોંગ્રેસે સૌથી મહત્વનો ગણાવ્યો છે. રણદીપ સુરજેવાલાએ પૂછ્યું કે 22 થી 25 વર્ષની ઉંમરમાં આ યુવાનો કોઈ વધારાની ડિગ્રી વિના તેમનું ભવિષ્ય કેવી રીતે બનાવશે. સુરજેવાલાએ કહ્યું કે શું એ સાચું નથી કે જ્યારે નિયમિત સૈનિકો પણ 15 વર્ષની સેવા પછી પાછા ફરે છે, ત્યારે તેમાંથી મોટા ભાગનાને બેંકના ગાર્ડ અથવા સિક્યુરિટી ગાર્ડની નોકરી મળે છે. આવી સ્થિતિમાં કોન્ટ્રાક્ટ પર ભરતી થયેલા આ યુવાનોનું શું થશે.
સંરક્ષણ નિષ્ણાત પીકે સહગલ કહે છે કે આ યોજના યોગ્ય નથી. ચાર વર્ષ પછી જે યુવાનો જોડાશે, તેઓ નિરાશ થઈ શકે છે. સેહગલે કહ્યું કે જ્યારે કોઈ સેના કે અન્ય દળોમાંથી નિવૃત્ત થાય છે ત્યારે તેને સિવિલમાં આવીને સારી નોકરી મળતી નથી. આ અગ્નિવીરોને ખૂબ જ સરળતાથી કટ્ટરપંથી બનાવી શકાય છે અને તેનો અન્ય હેતુઓ માટે સરળતાથી ઉપયોગ કરી શકાય છે.
પીકે સહગલે કહ્યું કે 55 હજારથી વધુ ઉચ્ચ કુશળ જવાનો ત્રણેય સેવાઓમાંથી નિવૃત્ત થાય છે, જેમાંથી માત્ર 1 કે 2% લોકોને જ નિવૃત્તિ પછી નોકરી મળે છે, આવી રીતે, સરકાર એ સમજાવી શકી નથી કે અગ્નિવીરોને કેવી રીતે નોકરી મળશે. . સાથે જ પીકે સહગલે કહ્યું કે સેનામાં એક સારા સૈનિકને તૈયાર થવામાં 7 થી 8 વર્ષનો સમય લાગે છે, આવી સ્થિતિમાં જો અગ્નિવીરને માત્ર 6 મહિનાની જ ટ્રેનિંગ આપવામાં આવશે તો તે વધુ સારો સૈનિક બનશે.