દિલ્હીના મુંડકામાં ભીષણ આગ, 27 લોકોના મૃતદેહ બહાર આવ્યા, PM મોદીએ વળતરની જાહેરાત કરી

દિલ્હીના સૌથી વ્યસ્ત વિસ્તાર મુંડકામાં આગની દર્દનાક ઘટના સામે આવી છે. ત્રણ માળની ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે. ફાયર વિભાગની 30થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમઓએ જાહેરાત કરી છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી બે-બે લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

image source

પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન નજીક ત્રણ માળની ઈમારતમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી. અહી ઘણા સમયથી સીસીટીવી વેરહાઉસ હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે.

image source

આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ પણ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે સાંજે 4.40 વાગ્યે આગની માહિતી મળતાં જ 30 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દિલ્હીના ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે, ‘દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે ત્રણ માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી. બિલ્ડિંગમાંથી કુલ 27 મૃતદેહો મળી આવ્યા હતા. ત્રીજા માળની શોધ હજુ બાકી છે.