‘જો તારા પિતાના 50 ટકા પણ તારામાં…’, અર્જુન તેંડુલકર પર કપિલ દેવનું ચોંકાવનારું નિવેદન ચારેકોર વાયરલ
પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022માં રમવાની તક મળી નથી. અર્જુનને મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, એવી આશા હતી કે તે આ સિઝનમાં ડેબ્યૂ કરશે પરંતુ તેમ થઈ શક્યું નહીં. હવે વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે 22 વર્ષના અર્જુન વિશે નિવેદન આપ્યું છે.
કપિલ દેવ કહે છે કે અર્જુન પર તેની અટકના કારણે હંમેશા થોડું વધારે દબાણ રહેશે, પરંતુ તેણે પોતાની રમત રમવી પડશે. કપિલ દેવે એક ઈવેન્ટમાં કહ્યું કે દરેક લોકો તેમના વિશે કેમ વાત કરી રહ્યા છે? કારણ કે તે સચિન તેંડુલકરનો પુત્ર છે. પરંતુ તેને તેનું ક્રિકેટ રમવા દો અને તેની સરખામણી સચિન તેંડુલકર સાથે ન કરો.
કપિલ દેવે કહ્યું કે તેંડુલકર અટક અર્જુન માટે ફાયદાકારક અને નુકસાન બંને છે. ડોન બ્રેડમેનના પુત્રએ પણ તેનું નામ બદલી નાખ્યું કારણ કે તે દબાણ સહન ન કરી શક્યો. કપિલે કહ્યું કે અર્જુન પર વધારે દબાણ ન કરો, તે ઘણો નાનો છે.
પૂર્વ કેપ્ટને કહ્યું કે હું અર્જુનને એક જ સલાહ આપવા માંગુ છું કે તરી રમતનો આનંદ માણ. તેણે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી, જો પિતાના 50 ટકા પણ બની શકે છે તો તેનાથી સારું બીજું કંઈ નથી. તેંડુલકર તેના નામ સાથે જોડાયેલ છે, આ કારણે અર્જુન પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
નોંધનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સે આ સિઝનમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપી છે. આવી સ્થિતિમાં આશા હતી કે આ વખતે અર્જુન તેંડુલકર પણ ડેબ્યૂ કરશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. અર્જુન તેંડુલકર છેલ્લી બે સિઝનથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે અને તેના ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે.