હે ભગવાન બચાવી લે, જો સરકાર ન જાગી તો ભાવનગરના 36 ગામડાઓ ડૂબી જશે! ચિંતાનો દરિયો અટકે તો સારું હવે
ગ્લોબલ વોર્મિંગ દુનિયાભરના દેશો માટે ચિંતાનો વિષય છે અને તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. કારણ કે, ગુજરાત 1600 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે અને ગ્લોબલ વોર્મિંગ તથા પીગળતા ગ્લેશિયરના કારણે, આગામી વર્ષોમાં ભાવનગર જિલ્લાના 36 જેટલા કોસ્ટલ ગામની ચિંતા વધી શકે છે. ગ્લેશિયર પિગળવાથી દરિયો આગળ વધી રહ્યો છે. અને હાલના સમયમાં પણ અમાસ અને પૂનમની ભરતીના સમયે વારંવાર કાંઠા વિસ્તારના ગામડાઓમાં દરિયાના પાણી ઘુસી જાય તેવી સ્થિતિ જન્મે છે. આગામી વર્ષોમાં આ બનાવો ચિંતાજનક સાબિત થઈ શકે છે.
નિષ્ણાતોના સંશોધન અને અવલોકન પ્રમાણે, ઘોઘા, કુંડા, ગોપનાથ, મહુવા, નિષ્કલંકનો દરિયાઈ પટ્ટો છેલ્લા ત્રણ દાયકામાં ૫૦થી ૭૦ ફૂટ જેટલો આગળ આવ્યો છે. જેના કારણે દરિયાઈ બીચનું ધોવાણ થઈ રહ્યું છે, સાથે જ દરિયા કિનારે આવેલા 1,000 જેટલા માછીમાર પરિવારનાં ઘરોનું અસ્તિત્વ પણ જોખમાયું છે. ભાવનગરના ઘોઘામાં ભરતી સમયે પાણી ઘુસી જવાના અનેક વખત બનાવો પણ બન્યા છે. જેને લઈને સ્થાનિક લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
દરિયાઈ પાણી આગળ વધી રહ્યા છે અને કાંઠા વિસ્તારોમાં ધોવાણનું પ્રમાણ વધી રહ્યું છે તેવામાં આ ધોવાણને અટકાવવું ખુબ અનિવાર્ય બની ગયું છે. આ માટે સ્થાનિક માછીમારો અને આગેવાનો દ્વારા વારંવાર તંત્ર અને સરકારમાં વોલ બનાવવા માટે રજૂઆતો કરાઈ છે. પરંતુ આજ સુધી કોઈ નિવારણ આવ્યું નથી. ઘોઘામાં તો દરિયાઈ ધોવાણ અટકાવવા માટે બનાવવામાં આવેલી દિવાલ 30 વર્ષથી તૂટેલી છે.
આજ સુધી તેનું સમારકામ કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે અનેક વખત ગ્રામજનોને સ્થળાંતર કરવાની પણ જરૂર પડી છે. તેવામાં હવે સરકાર ભાવનગરના 36 દરિયાકાંઠાના ગામડાઓના લોકોની સમસ્યાનું નિવારણ લાવે તે જરૂરી બન્યું છે. ત્યારે જોવાનું એ રહેશે કે, સરકાર આ દરિયાઈ ધોવાણને અટકાવવા માટે શું પગલા ભરે છે.