ભારત બંધ: હડતાલને કારણે ગઈકાલે ₹18,000 કરોડના 20 લાખ ચેકની વાટ લાગી, બીજા દિવસે પણ બધું બંધ

કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં બોલાવવામાં આવેલી કેન્દ્રીય ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી હડતાલના બીજા દિવસે મંગળવારે, કેટલાક ભાગોમાં બેંકિંગ સેવાઓ અને જાહેર પરિવહન આંશિક રીતે ઠપ થઈ ગયું હતું, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. મજૂર સંગઠન એઆઈટીયુસીના જનરલ સેક્રેટરી અમરજીત કૌરે જણાવ્યું હતું કે લગભગ તમામ ક્ષેત્રોના કર્મચારીઓ અને કામદારો આ હડતાળનો હિસ્સો બન્યા છે અને તેને ગ્રામીણ વિસ્તારોમાં પણ ઘણું સમર્થન મળી રહ્યું છે. તેમણે કહ્યું કે હવે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના કર્મચારીઓ પણ તેમાં જોડાયા છે.

તેમાં 20 કરોડથી વધુ કર્મચારીઓની ભાગીદારી હતી – મજૂર સંગઠન AITUC

અમરજીત કૌરે હડતાળના પહેલા દિવસે 20 કરોડથી વધુ કર્મચારીઓની ભાગીદારીનો દાવો કર્યો અને કહ્યું કે બીજા દિવસે આ સંખ્યા વધુ વધશે. સમગ્ર દેશમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મોરચાએ આ દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. આ હડતાલ મજૂરો, ખેડૂતો અને સામાન્ય માણસ સામે સરકારની કથિત ખોટી નીતિઓના વિરોધમાં બોલાવવામાં આવી છે. આ દ્વારા, ટ્રેડ યુનિયનોએ શ્રમ કાયદાને પાછો ખેંચવાની, ખાનગીકરણની કોઈપણ યોજનાને નકારી કાઢવા, રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન બંધ કરવા, મનરેગા હેઠળ ફાળવણી વધારવા અને કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કરવાની માંગણી કરી છે.

18,000 કરોડના 20 લાખ ચેક ક્લિયર થયા નથી: AIBEA

આ હડતાલને બેંકિંગ વર્કર્સ યુનિયનનો પણ સારો ટેકો મળી રહ્યો છે. બેંકિંગ કર્મચારીઓના સંગઠનો, જાહેર બેંકોના ખાનગીકરણની યોજનાને અટકાવવાની માંગ કરી રહ્યા છે, તેનો એક ભાગ બની રહ્યા છે. જેના કારણે ઘણા રાજ્યોમાં બેંકિંગ સેવાઓને અસર થઈ છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) ના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે જણાવ્યું હતું કે હડતાલના પહેલા દિવસે કર્મચારીઓની ઉપલબ્ધતા ન હોવાને કારણે દેશભરમાં આશરે 18,000 કરોડ રૂપિયાના 20 લાખ ચેક ક્લિયર થઈ શક્યા નથી. બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) અને ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) પણ આ હડતાળનો ભાગ છે.