સરકાર તમારી ઉજ્જવલ યોજના શું ધોઈ પીવી? ગુજરાતના 65 ગામોમાં 6 મહિનાથી 4.65 લાખ બાટલા ભરાયા નથી, લોકોએ ખેતરમાં લટકાવી દીધા
ગરીબ મહિલાઓની મદદ કરવા માટે પ્રધાનમંત્રી દ્વારા આ ઉજ્જ્વલા યોજના શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ મહિલાઓને ચૂલા અને લાકડાના ધુમાડાથી છુટકારો મેળવી શકે તેવો હતો. તેનો મોટા પાયે પ્રચાર પ્રસાર કરાયો હતો. ગુજરાતમા આ યોજના અંતર્ગત ૩૫,૩૮,૫૪૩ ગેસ જોડાણ આપવામાં આવ્યા હતા પરંતુ જેમ જેમ ગેસના ભાવમાં વધારો થયો તેમ તેમ ગ્રામીણ ગરીબ મહિલાઓ ગેસથી દૂર થતી રહી હતી.
મોદી સરકારે જ્યાંથી આ યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તે દાહોદ જિલ્લામા જ ૭૫ ટકા લાભાર્થીએ છેલ્લા થોડા મહિનાથી સિલિન્ડર રિફીલ કરાવવાનું બંધ જ કરી દીધી અને આ સિલિન્ડર ઠેકાણે મૂકીને ચૂલા પર જ રાંધવાની પરંપરાગત પદ્ધતિ ફરીથી અપનાવી લીધી છે. આ આખી યોજનામા સૌથી દુ:ખની વાત એ છે કે આ યોજનના લાભાર્થીઓએ જ્યારે આ યોજનાનો લાભ લીધો ત્યારે તેમના અંત્યોદય એટલેકે બીપીએલ કાર્ડમા ગેસ જોડાણનો સિક્કો વાગી જવાથી તેમને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જે કેરોસીન મળતું હતું તે પણ હવે બંધ થઇ ગયું છે. હવે ગેસ ખૂબ મોંઘો પડે છે અને કેરોસીન બંધ થઇ જવાથી ‘બાવાના બેવ બગડ્યાં’ જેવી હાલત થઇ ગઈ છે.
આ જિલ્લામા કુલ ૧૯૯૫૫૭ ગેસ સિલિન્ડરના કનેક્શન આપ્યા છે પરંતુ બોટલનો ભાવ રૂ. ૧૦૨૯ રૂપિયા જેટલો થઇ ગયો હતો માત્ર ૨૫ ટકા લાભાર્થીઑ આ બોટલ રિફીલ કરાવી રહ્યા છે. આણંદ અને ખેડા જિલ્લાની વાત કરીએ અહીં કુલ ૨.૮૯ લાખ કનેક્શન માથી ૧.૮૦ લાખ જોડાણધારકોએ છેલ્લા છ મહિનામા ગેસની બોટલ રિફીલ કરાવી નથી. પંચમહાલ જિલ્લાના કડાણા તાલુકામા ૫૬૨૩ પરિવારોએ આ યોજનાનો લાભ મળ્યો છે તેમા ૪૦ ટકાથી વધારે ગરીબ પરિવારોએ બીજીવાર ગેસની બોટલ ભરાવી નથી.
રાજ્યના ૭ જિલ્લાના નાના મોટા ૬૫ જેટલા ગામોમા વાસ્તવિક સ્થિતિ તપાસી તો એક ચોંકાવનારી હકીકત બહાર આવી. ગયા ૬ થી ૮ માહિનામાં ૪.૬૫ લાખ ગેસ સિલિન્ડર ફરીથી ભરાયા નથી. હવે આ બાટલા રસોડાને બાદ કરતા બીજી જગ્યાએ વેરવિખેર અવસ્થામા જોવા મળી રહ્યા છે. ક્યાંક ઝાડ પર લટકાવવામાં આવ્યા છે તો ક્યાંક લારી પર તો એક ઠેકાણે તો તેને ખેતરોમા ફેંકી દેવામાં આવ્યા છે. ભાવની મજબૂરીના લીધે ફરી પાછા ચૂલા પર રાંધવાનું શરૂ કરનારી મહિલાઓએ પોતાની આપવીતી જણાવી કે અડધી કમાણી બાટલો ભરાવવામા જ જતી રહે છે. એનાથી તો સારું છે કે અમે લાકડા સળગાવીને રસોઇ બનાવીએ. અમને બાટલાના ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા પોસાતા નથી.
આખા પરિવારની આવક રૂ.૪૦૦૦ છે તેમાં ૮૦૦ના બાટલા કરતા તો ચૂલો જ સારો :
અમે ૨૦૧૮મા ગેસ સિલિન્ડર મળ્યુ હતુ. શરૂઆતમા તો અમને ૬૦૦ રૂપિયામાં સિલિન્ડર માલ્ટા હતા ત્યારે અમે ભરાવતા હતા, પરંતુ છેલ્લા એક વર્ષથી ગેસનું સિલિન્ડર અમે ભરાવ્યુ નથી. અમારી મહિનાની આવક માંડ ૪ હજાર જેટલી જ છે. તેમાં અમે ઘરમા ચાર સભ્યો છે, તેમા બે બાળક પણ છે. તેમને ખવડાવવુ કે પછી ગેસના બાટલા ભરાવીએ ? અત્યારે ૧૦૦૦ રૂપિયા બાટલના છે. તેમાંથી ૨૦૦ રૂપિયા સબસિડી મળે તો બાકીના પૈસા લાવવા ક્યાંથી? તેથી હું લાકડા વીણીને લાવી ચૂલા પર જ રસોઇ બનાવું છું.
૨૦૧૮મા ૨૧૧૬૫૦ ને અત્યારે ખાલી ૩૦ હજાર કાર્ડધારકોને જ કેરોસીન મળે છે :
૨૦૧૮ પહેલા ગેસ કનેક્શન નહીં ધરાવનાર લોકો ૨૧૧૬૫ કાર્ડધારકને મહિને વ્યક્તિદીઠ ૪ લિટર મહત્તમ ૧૦ લિટર જેટલું કેરોસીન આપવામાં આવતું હતું. હાલમા ખાલી ગેસ કનેક્શન નહીં ધરાવતા અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને વ્યકિતદીઠ ખાલી ૨ લિટર જ મહત્તમ ૮ લિટર કેરોસીન આપવામા આવે છે. હાલમા આણંદ જિલ્લામા માંડ ૩૦ હજાર રેશનકાર્ડધારકને કેરોસીન આપવામાં આવે છે.
આમને આ ગેસની બોટલ પાછા લઇને કેરોસીન પાછું આપો :
એક ઝૂંપડીમા સાત સભ્યનો પરિવાર રહે છે. તેમાથી એક ભાઇ મજૂરી કરી અમને બધાને ખવડાવે છે. ગેસની બોટલ ભરાવાનુ તો બાજુમાં રહ્યું આને સાચવીને થાક્યા. એના કરતા તો સરકાર બાટલા પાછા લઇ લે અને અમને કેરોસીન ચાલુ કરી આપે તો વધારે સારું.
બાટલાને તો માળિયે ચડાવી દીધો છે :
અમારી એટલી આવક નથી કે અમે ખેતીમા ઘરનુ ખાવાનુ નીકળે છે તેમાં બોટલ ક્યાંથી ભરાવીએ અમારે તો ચૂલો જ બરાબર છે. આના કરતા તો કેરોસીન મળતુ હતું એ વધારે સારું તેથી અમે સગડી અને બોટલ માળીએ ચઢાવી દીધા છે.
રેશનકાર્ડમા આ યોજનાનો સિક્કો લાગી જવાથી રેશનિંગ કેરોસીન વિતરણ પણ બંધ થઈ ગયું :
જે યોજનાનો અમલ આણંદ અને ખેડા જિલ્લામા ૨૦૧૭મા થયો, પહેલા તબક્કામા જિલ્લાના ૧.૪૨ લાખ સિવાય બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને ખાલી રૂા. ૧૦૦મા ગેસ કનેક્શન ફાળવવાનુ શરૂ કર્યું હતુ. અત્યારસુધીમા આણંદ જિલ્લામા ૧૪૨૭૦૪ અને ખેડા જિલ્લામા ૧૪૬૫૨૦ મળ્યા ચરોતરમા કુલ ૨૮૯૨૨૪ થી વધારે ગરીબ પરિવારોને ત્યા ગેસ કનેક્શન પહોંચી ગયા છે. આ બધા ગેસ કનેક્શન ધરાવતા કાર્ડધારકોના રેશનકાર્ડમા આ ઉજ્જ્વલા યોજનાનો સિક્કો લાગી ગયો તેથી રેશનિંગ કેરોસીન વિતરણ પણ બંધ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને દરેક સિલિન્ડરે મળતી સબસિડી હવે માત્ર ૨૦૦ રૂપિયા છે. આમ, ૧૪.૨ કિલોનો આ એલપીજી સિલિન્ડર આ યોજનાના લાભાર્થીઓને ૮૦૩ રૂપિયામા મળશે. એલપીજી સિલિન્ડરના ભાવ વધારાની સાથે સાથે યોજનાના લાભાર્થીઓને પણ મોંઘવારીનો માર નડ્યો છે.
ફેબ્રુઆરી ૨૦૨૦મા સબસિડી વગરના ૧૪.૨ કિલોના આ સિલિન્ડરનો ભાવ ૭૧૪ રૂપિયાથી વધીને ૮૫૮.૫૦ રૂપિયા થયો તો ઉજ્જ્વલા લાભાર્થીઓની પણ પ્રતિ સિલિન્ડર સબસિડી ૧૭૪.૮૬ રૂપિયાથી વધીને ૩૧૨.૪૮ રૂપિયા કરવામાં આવ્યો. આમ, લાભાર્થીને એક સિલિન્ડરે ૫૪૬ રૂપિયા ચૂકવવા પડ્યા. આમ બે વર્ષના સમયમાં પ્રતિ સિલિન્ડરે લાભાર્થીને ૨૫૭ રૂપિયા (૪૭ ટકા) વધુ ચૂકવવા પડે છે. નોંધનીય છે કે, આ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ ૨૪ માર્ચ ૨૦૨૨ની સ્થિતિએ ગુજરાતમા કુલ ૩૫,૩૮,૫૪૩ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. તેમા PMUY ફેઝ-૧માં ૨૮,૩૮,૦૦૬ અને આ યોજના ૨.૦મા ૫,૪૦,૫૩૭ કનેક્શનનો સમાવેશ પણ થાય છે.
સિલિન્ડરનો ભાવ આસમાને પણ સબસિડીતો ખાલી નામની :
મહિનો વર્ષ | સબસિડી વગરનો ભાવ | સબસિડી | ચૂકવવી પડતી રકમ |
ફેબ્રુઆરી ૨૦૨૦ | ૮૫૮.૫ | ૩૧૨.૪૮ | ૫૪૬.૦૨ |
જૂન ૨૦૨૨ | ૧૦૦૩ | ૨૦૦ | ૮૦૩ |
(નોંધ: ૧૪.૨ કિલો ગેસ સિલિન્ડરનો ભાવ રૂપિયામા) |
આ યોજના લૉન્ચ થઈ ત્યારે સિલિન્ડરનો ભાવ રૂ. ૫૨૭.૫૦ હતો :
આ યોજના ૧ મે ૨૦૧૬મા લૉન્ચ થઈ હતી ત્યારે સબસિડી વગરનો ૧૪.૨ કિલો ગેસ સિલિન્ડર ૫૨૭.૫૦નો હતો. જે મે ૨૦૨૨મા ૧૦૦૩નો થયો. ભાવ ૯૦% જેટલો વધી ગયો છે.