તો શું વિરાટ અને રોહિત માટે આ છેલ્લો વર્લ્ડ કપ હશે’ – ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ પર કરાઈ મોટી ટિપ્પણી
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું માનવું છે કે આ વર્ષના અંતમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા પર ઘણું દબાણ હશે. અખ્તરે એ પણ ધ્યાન દોર્યું કે આ વર્લ્ડ કપ આ બે દિગ્ગજ ક્રિકેટરોનો છેલ્લો વર્લ્ડ કપ પણ હોઈ શકે છે.
સ્પોર્ટ્સકીડા પર હરભજન સિંહ સાથે વાતચીત કરતી વખતે, અખ્તરે કહ્યું, ‘એ જોવાનું બાકી છે કે શું આ વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે છેલ્લી IPL સાબિત થશે કે છેલ્લો વર્લ્ડ કપ. પરંતુ એ નિશ્ચિત છે કે આ બંને ખેલાડીઓ પર પોતાનું ફોર્મ જાળવી રાખવાનું ઘણું દબાણ હશે. કારકિર્દીના છેલ્લા ભાગમાં આ દબાણ સતત વધતું રહે છે. ઉદાહરણ તરીકે, જુઓ કે સચિનને સદી ન ફટકારવા અંગે સતત પ્રશ્ન કરવામાં આવતો હતો. આ દરમિયાન હરભજને એમ પણ કહ્યું કે ‘આ IPL સિઝન આ બંને ખેલાડીઓ માટે સારી ન હતી. તેમને આશા હશે કે હવે તેની ટીમ T20 વર્લ્ડ કપ જીતે.
IPL 2022માં વિરાટ અને રોહિત બેરંગ દેખાયા
IPL 2022માં વિરાટ કોહલી અને રોહિત શર્મા બેરંગ દેખાયા હતા. વિરાટ કોહલીએ 22.73ની બેટિંગ એવરેજથી 341 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઈક રેટ પણ 120થી ઓછો હતો. બીજી તરફ રોહિત શર્મા 19.14ની એવરેજથી માત્ર 268 રન જ બનાવી શક્યો હતો. આખી ટૂર્નામેન્ટમાં તે એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નહોતો. કેપ્ટનશિપમાં પણ તે ફ્લોપ સાબિત થયો હતો. તેની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે 14માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે.