સુશાંત કેસમાં નવો વળાંક, મૃત્યુના 2 વર્ષ બાદ RTI દાખલ કરી માંગવામાં આવી જાણકારી
બે વર્ષ પછી પણ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનું રહસ્ય હજુ ઉકેલાયું નથી. 14 જૂન, 2020 ના રોજ, સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ મુંબઈના બાંદ્રામાં તેના ફ્લેટમાં લટકતો મળી આવ્યો હતો. આ કેસની સૌથી પહેલા મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તે પછી આ મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. શરૂઆતમાં, સુશાંત સિંહના મૃત્યુને લઈને ઘણી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં હત્યાનો પણ સમાવેશ થાય છે, પરંતુ સીબીઆઈની તપાસમાં હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. દરમિયાન હવે આ મામલે RTI દાખલ કરવામાં આવી છે અને CBI પાસેથી માહિતી માંગવામાં આવી છે.
ANIના અહેવાલ મુજબ, સુશાંત સિંહ કેસમાં એક RTI દાખલ કરવામાં આવી છે અને CBI પાસેથી આ કેસ વિશે માહિતી માંગવામાં આવી છે. RTI પૂછે છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પાછળનું સત્ય શું છે? સુશાંતના ચાહકો જાણવા માંગે છે કે તેનું મોત કયા કારણોસર થયું અને કયા સંજોગોમાં થયું? જોકે, સીબીઆઈએ આ આરટીઆઈ પર કોઈ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે અને કહ્યું છે કે કેસની તપાસ હજુ ચાલુ છે.
આરટીઆઈના જવાબમાં સીબીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે, ‘સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ સંબંધિત કોઈપણ માહિતી આપવાથી આ કેસની તપાસમાં અવરોધ આવી શકે છે. તેથી સુશાંત સિંહ રાજપૂત કેસમાં માંગવામાં આવેલી માહિતી આપી શકાતી નથી. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
સુશાંત સિંહ રાજપૂતના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે રિયા ચક્રવર્તીએ તેમના પુત્રની સંપત્તિનો દુરુપયોગ કર્યો હતો અને તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો. સાથે જ રિયા ચક્રવર્તી પર કાળો જાદુ કરવા જેવા આરોપો પણ લાગ્યા હતા. આ કેસમાં રિયા ચક્રવર્તી થોડા અઠવાડિયા માટે જેલમાં ગઈ હતી અને તેને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. જો કે, સુશાંત સિંહ રાજપૂતના મોતમાં રિયા ચક્રવર્તીની ભૂમિકા અંગે હજુ સુધી સીબીઆઈ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ હતી, જે તેના મૃત્યુના લગભગ એક મહિના પછી Disney+ Hotstar પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી સંજના સાંઘી હતી અને આ ફિલ્મ તેના ચાહકો માટે ફ્રી રાખવામાં આવી હતી. સુશાંતના પરિવારમાં પિતા ઉપરાંત, તેની ચાર બહેનો છે – રાની, મીતુ સિંહ, પ્રિયંકા સિંહ અને શ્વેતા સિંહ કીર્તિ, જેઓ હજુ પણ તેમના ભાઈ માટે ન્યાયની માંગ કરી રહી છે. સુશાંતની બહેનોનું કહેવું છે કે તેમને કાયદા અને ભગવાનમાં વિશ્વાસ છે કે તેમના ભાઈને ચોક્કસ ન્યાય મળશે.