હવે જામનગરમાં પણ અગ્નિપથનો વિરોધ, હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠાં થઈને કર્યો હલ્લાબોલ, પોલીસ આવી ગઈ નહીંતર….
કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લાવવામાં આવી છે, જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ અગ્નિપથના વિરોધની આગ પહોંચી ગઈ છે. શહેરમાં આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યોજનાના વિરોધમાં એકઠા થયા હતા. આજે વહેલી સવારે એસપી કચેરી નજીક વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે એકઠા થયા હતા, જેને લઈ બંદોબસ્ત માટે સમગ્ર પોલીસકાફલો સ્થળ પર પહોંચી ગયો હતો, જેથી સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.
અગ્નિપથ યોજનાના વિરોધમાં એસપી કચેરી નજીક મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા, જેને લઈ જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ સહિત એલ.સી.બી, એસ.ઓ.જી સહિતનો પોલીસસ્ટાફ દોડી ગયો હતો અને સમગ્ર સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મોટી સંખ્યામાં યુવાનો એકઠા થતાં પોલીસે સમજાવવાનો પ્રયાસો હાથ ધર્યા છે તેમજ પોલીસે પાણીનો મારો ચલાવવા વોટર કેનન પણ મગાવ્યા હોવાનું સામે આવ્યું છે.
અગ્નિપથનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા ઉચ્ચ અધિકારીને આ બાબતે તમારી રજૂઆત પહોંચાડશું તેવી ખાતરી આપવામાં આવતા હાલ મામલો થાળે પડ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની રજૂઆત કરી રવાના થયા હતા. વિદ્યાર્થીઓને અધિકારી દ્વારા ખાત્રી આપતા જણાવાયું હતું કે, અમે ઉચ્ચ અધિકારી સુધી તમારી માંગણી પહોંચાડીશું. જેને લઈ મામલો હાલ થાળે પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સેનામાં ભરતીની ‘અગ્નિપથ’ યોજનાના વિરુદ્ધમાં ઠેર-ઠેર દેખાવો થઈ રહ્યા છે. હિંસાની આગ બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન પછી તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, દિલ્હી સહિત 13 રાજ્યમાં પહોંચી હતી. આ રાજ્યોનાં 40થી વધુ શહેરોમાં તોફાન થયાં છે તેમજ રેલવેટ્રેક અને સડકો જામ કરવામાં આવી હતી