હવે તમને એસ.ટી.માં જરાય સકળાશ નહીં થાય અને એકદમ આરામ મળશે, 2×2 સીટર અને ભગવો રંગ ઇતિહાસ સર્જી દેશે

ગુજરાતની ટ્રાન્સપોર્ટેશનની ધોરી નસ ગણાતી ગુજરાત એસ.ટી. આગામી દિવસમાં ભગવા રંગમાં દોડતી દેખાશે. હાલ અમદાવાદના નરોડામાં આવેલા એશિયાના સૌથી મોટા વર્કશોપમાં નવી બસો તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. આ પ્રકારની અંદાજે 500થી વધુ બસ તૈયાર કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ એસ.ટી. નિગમ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર 2×2 સીટર બસ પણ તૈયાર કરવામાં આવશે. શરૂઆતમાં 2×2ની 300 બસ તૈયાર કરવામાં આવશે.

image source

ગુજરાત વાહન વ્યવહાર વિભાગ નરોડા સ્થિત વર્કશોપમાં નવી બસો તૈયાર કરી રહ્યું છે. બસનો રંગ, ગ્રાફિક્સ ઉપરાંત બેઠક વ્યવસ્થામાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ બસની ખાસિયત એ છે કે, બસ માટે ભગવો રંગ પસંદ કરવામાં આવ્યો છે.

હાલ રસ્તા પર જોવા મળતી એસ.ટી.નિગમની બસો સફેદ, બ્લુ અને પીળા રંગની છે, જ્યારે નવી તૈયાર થનાર બસ ભગવા રંગની જોવા મળશે. એસ.ટી.નિગમની 2×3 સિટીંગ બસના રંગ અને ગ્રાફિક્સમાં છેલ્લે વર્ષ 2018માં બદલાવ થયો હતો. જે બાદ હવે એસ.ટી. બસની કાયાપલટ કરવામાં આવી રહી છે. આ બાબતે એસ.ટી નિગમના મેનેજીંગ ડિરેક્ટર MA ગાંધીએ જણાવ્યું કે નવી તૈયાર થનાર બસની સૌથી મોટી ખાસિયત એ છે કે, પ્રવાસીઓને આકર્ષવા માટે ઓવરઓલ લુકને બદલી વધુ આકર્ષક કરવામાં આવ્યો છે. એસ.ટી. નિગમ પ્રવાસીઓને વધુ સારી સેવા આપવા માટે કટિબદ્ધ છે. જેથી નવી સુવિધાઓ આપતું રહેશે.

BS-6 પ્રકારના એન્જિનની કેસરી બસમાં બંને સીટ વચ્ચે પ્રર્યાપ્ત માત્રામાં અંતર રાખવામાં આવ્યું છે, એટલે કે લેગ સ્પેસ પણ આપવામાં આવી છે. જેમાં પ્રવાસીઓ પોતાના પગ સરળતાથી નીચે મૂકી શકે તે માટેની વ્યવસ્થા છે. સામાન્ય રીતે હાલ તૈયાર થતી બસોના ફ્લોરિંગમાં માત્ર લાકડાની ડિઝાઇન જોવા મળતી હતી. પરંતુ સ્વચ્છતા જાળવવા અને આકર્ષક બનાવવા નવી બસોમાં આ લાકડા પર મેટ પાથરવામાં આવી છે. બસની મહત્વપૂર્ણ ખાસિયત એ પણ છે કે ઇન્ટિરિયર માટે ACP સીટ વાપરવામાં આવી છે, જે બસના દેખાવને વધુ સુંદર બનાવે છે.

image source

એસ.ટી.નિગમ 2×3ની સાથે હવે પહેલીવાર 2×2 બેઠક વ્યવસ્થા ધરાવતી બસ તૈયાર કરશે. 42 લોકોની બેઠક વ્યવસ્થા ધરાવતી આ બસ બનાવવાની કામગીરી પણ આવનાર દિવસોમાં શરૂ કરવામાં આવશે. દરેક સીટ માટે રીડિંગ લાઈટ, જેથી રાતના સમયે યાત્રિકો પોતાની બેઠક પર જ વાંચન કરી શકશે.

2 × 2 પ્રકારની બસમાં સ્લાઈડિંગ વિન્ડો પણ પહોળી હશે, જેથી પર્યાપ્ત વેન્ટીલેશન મળી રહેશે. શરૂઆતના તબક્કામાં 300 જેટલી બસ તૈયાર કરવામાં આવશે. યાત્રિકોને પ્રવાસ માટે વધુ સુવિધા અને વિકલ્પો મળી રહે અને ખાનગી બસની જગ્યાએ નિગમની બસ આ લોકો આકર્ષાય તે માટેનો પ્રયાસ કરવામાં આવશે.