શાહી ઈદગાહ મસ્જિદ હટાવવા માટેની અરજીની સુનાવણી માટે કોર્ટ તૈયાર
જ્ઞાનવાપી બાદ હવે કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ પર કોર્ટમાં સુનાવણી થશે. મથુરા કોર્ટે તેને લગતી અરજીને સુનાવણી માટે સ્વીકારી લીધી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે શાહી ઇદગાહ મસ્જિદ કૃષ્ણ જન્મભૂમિ પર બનેલી છે તેથી તેને હટાવી દેવી જોઇએ.
સિવિલ કોર્ટે અગાઉ આ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ હિન્દુ પક્ષે મથુરા કોર્ટમાં નવી રીતે અરજી દાખલ કરી. હવે અરજીને સ્વીકારતા મથુરા કોર્ટે કહ્યું છે કે સિવિલ કોર્ટે તેની સુનાવણી કરવી જોઈએ.
મથુરા કોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ સાથે જોડાયેલી અરજીને સાંભળવા યોગ્ય ગણાવી છે. જિલ્લા અને સેશન્સ જજ રાજીવ ભારતીએ આ નિર્ણય સંભળાવ્યો છે. આ કેસમાં એડવોકેટ રંજના અગ્નિહોત્રી (જે પોતે કૃષ્ણના ભક્ત હોવાનો દાવો કરે છે) સહિત 6 અરજદારો છે. આ અપીલ વર્ષ 2020માં દાખલ કરવામાં આવી હતી, જેમાં શાહી ઇદગાહની જમીનની માલિકી મેળવવાનો દાવો કરવામાં આવ્યો હતો.
શું છે મથુરાના વિવાદ :
તમને જણાવી દઈએ કે 13.37 એકર જમીનના માલિકી હકને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં 10.9 એકર જમીન શ્રી કૃષ્ણ જન્મસ્થાન પાસે અને 2.5 એકર જમીન શાહી ઇદગાહ મસ્જિદ પાસે છે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ હરિશંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, રંજના અગ્નિહોત્રી દ્વારા દાવો દાખલ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે કાશી અને મથુરાનો વિવાદ પણ કંઈક અંશે અયોધ્યા જેવો છે. હિન્દુઓ દાવો કરે છે કે ઔરંગઝેબે કાશી અને મથુરામાં મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવી હતી. ઔરંગઝેબે 1669માં કાશીમાં વિશ્વનાથ મંદિર તોડી પાડ્યું હતું અને 1670માં મથુરામાં ભગવા કેશવદેવ મંદિરને તોડી પાડવાનું ફરમાન બહાર પાડ્યું હતું. આ પછી કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ બનાવવામાં આવી.
મથુરામાં આ વિવાદની ચર્ચા ગયા વર્ષે ત્યારે શરૂ થઈ જ્યારે અખિલ ભારતીય હિંદુ મહાસભાએ ઈદગાહ મસ્જિદની અંદર ભગવાન કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવાની અને તેનો જલાભિષેક કરવાની જાહેરાત કરી હતી. જો કે હિન્દુ મહાસભા આમ કરી શકી ન હતી. આ પછી, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં, ‘મથુરા કી બારી હૈ…’ જેવા નારા પણ ખૂબ લોકપ્રિય થયા હતા.