હે સરકાર આ ખેડૂતોને પાણી તો આપો, બનાસકાંઠામાં પાણી માટે 25 હજાર કરતાં વધારે ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી મહારેલી કાઢી

ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે. કાળઝાળ ગરમીમાં ઘણા સ્થળોએ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. રાજ્યના બનાસકાંઠામાં ઉનાળા દરમ્યાન પાણીને લઇને ભારે વિકટ સ્થિતિ સર્જાઇ છે. ત્યારે હવે બનાસકાંઠાના ખેડૂતોએ પાણી મુદ્દે મહાઆંદોલનના મંડાણ કર્યા છે. સરકાર સામે બાંયો ચડાવી છે. બનાસકાંઠામાં ખેડૂતોએ હવે પાણી માટે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે, 125 ગામના 25હજારથી વધુ ખેડૂતો થઇ રહ્યા છે એકઠા , પાલનપુરમાં સભા સંબોધીને રેલી સ્વરૂપે કલેક્ટરને રજૂઆત કરવાના છે.

બનાસકાંઠામાં પાણીની માંગ હવે ઉગ્ર બની છે. ખેતી બચાવવા, ઢોરોની તરસ છીપાવવા તથા પીવાના પાણી માટે મોટી સંખ્યામાં ખેડૂતોએ પાલનપુર તરફ કૂચ કરી છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઇને મહારેલીમાં જોડાવા નીકળી પડ્યા છે. ખેડૂતો દ્વારા જળ આંદોલન અંતર્ગત મહારેલી યોજાશે. આ રેલીમાં 125 ગામડાઓના અંદાજે 25 હજાર જેટલા ખેડૂતો સામેલ થવાની શક્યતા છે. ખેડૂતો છેલ્લા 25 વર્ષથી કરમાવત તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી આપવાની માંગ કરી રહ્યા છે.પરંતુ સરકાર દ્વારા તળાવ તેમજ ડેમમાં પાણી પુરૂ પાડવામાં ન આવતા આખરે ખેડૂતોએ બાંયો ચડાવી છે.

image source

ભારતીય કિસાન સંઘ પ્રેરિત ખેડૂતોની મહારેલીની શરુઆત થઇ ગઇ છે. 125 ગામના ખેડૂતો ટ્રેક્ટર ભરીને પાલનપુર જવા નીકળ્યા છે. ખેડૂતો ઢોલ નગારા સાથે રેલીમાં જોડાવા એકઠા થયા છે. ઢોલ નગારા વગાડીને લોકોને રેલીમાં જોડાવા આહવાન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની બસ એક જ માંગ છે કે કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવે. મહત્વનું છે કે ખેડૂતો છેલ્લા 25 વર્ષથી કરમાવદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી ભરવાની માંગ કરી રહ્યાં છે પરંતુ સરકાર દ્વારા આજદિન સુધી પાણી ન અપાતા ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી છે.

image source

અંદાજે 25 હજારથી વધુ ખેડૂતો એકત્ર થઇ પાણીની માંગણીને સરકારના કાન સુધી પહોંચાડશે. ખેડૂતોના જળ આંદોલનને પાલનપુર માર્કેટ યાર્ડ એગ્રો એસોસિએશોન, વડગામ કાપડ બજાર વેપારી, હાર્ડવેરના વેપારી, સ્ટેમ્પ વેન્ડર સહિતનાં વેપારીઓએ પણ સમર્થન આપ્યું છે. જે અંતર્ગત આજે તમામ વેપારીઓ પોતાના પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે.